Loading...

સુરત-સૌરાષ્ટ્ર હાઈવે પર શક્તિ ધામ ટ્રાવેલ્સ બસ પલટી:ડ્રાઈવરને ઝોકું આવતાં સર્જાઈ દુર્ઘટના

સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોજકા અને ધંધુકા વચ્ચેના માર્ગ પર મોડી રાત્રે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.

રાત્રે 3 વાગ્યે બની દુર્ઘટના 

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે બની હતી. બસના ચાલકને ઝોકું આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.

બસમાં 30થી વધુ મુસાફર સવાર હતા 

બસ પલટી ખાતા જ બસમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધીન મુસાફરોની ચિચિયારીઓ સંભળાઈ હતી. બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા, જેમાં 15 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થતો હતો.

મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો 

ઘટનાની જાણ થતાં જ ધોલેરા અને ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જોકે, કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.