બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરી
એર ઇન્ડિયાની દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 અધવચ્ચેથી જ દિલ્હી પરત ફરી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ફ્લાઇટ મંગળવારે રાત્રે બાલી માટે રવાના થઈ હતી અને જ્વાળામુખી ફાટવાના અહેવાલો પછી તે અધવચ્ચેથી પાછી ફરી હતી. બુધવારે વહેલી સવારે ફ્લાઇટ દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ હતી. એરલાઇન્સ દ્વારા તેમને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, મંગળવારે ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખીથી 11 કિમી ઊંચાઈ સુધી રાખ ફેલાઈ ગઈ હતી. બુધવારે સવારે ફરી 1 કિમી ઊંચા રાખના વાદળ દેખાયા હતા. જેના કારણે બાલી જતી અનેક ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી.
મંગળવારે અગાઉ, એર ઇન્ડિયાની 7 ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન અને સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.