Loading...

ઇન્ડિગોમાં ક્રૂ સંકટ, કંપની પાસે માણસો નથી!:ત્રીજા દિવસે 170 ફ્લાઇટ્સ પર અસર, જયપુર સહિત ઘણા એરપોર્ટ પર હજારો મુસાફરો પરેશાન; એરપોર્ટ પર જ રાત વિતાવી

ઇન્ડિગોએ કહ્યું- 5 ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થશે

એરલાઇને બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે નાની-મોટી ટેકનિકલ ખામી, શિયાળાના કારણે શિડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં ધીમું નેટવર્ક અને ક્રૂ મેમ્બર્સની શિફ્ટ ચાર્ટ સાથે જોડાયેલા નવા નિયમો (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન)ના પાલનના કારણે અમારા ઓપરેશન પર ખરાબ અસર પડી છે. તેનો પહેલાંથી અંદાજ લગાવવો શક્ય નહોતો. કંપનીએ કહ્યું કે આગામી 48 કલાકમાં સંચાલન સ્થિર થઈ જશે.

DGCAએ ઇન્ડિગો પાસેથી જવાબ માગ્યો

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઇન્ડિગો પાસેથી હાલની સમસ્યાઓના કારણો અને તેનો સામનો કરવા માટેની યોજનાની વિગતો માંગી છે. DGCAએ કહ્યું છે કે તે મામલાની તપાસ કરી રહ્યું છે. ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબ ઘટાડવાના ઉપાયો પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

DGCA અનુસાર, ક્રૂની અછત તેનું મુખ્ય કારણ છે. ઇન્ડિગોમાં આ સમસ્યા છેલ્લા મહિનાથી ચાલી રહી છે. નવેમ્બરમાં તેની 1232 ફ્લાઇટ્સ રદ થઈ. મંગળવારે 1400 ફ્લાઇટ્સ મોડી પડી.

DGCAના નવા નિયમોને કારણે ઇન્ડિગોમાં મુશ્કેલી

DGCAએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. તેને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો.

જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો, જેના પછી એરલાઇન કંપનીઓ, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી. DGCAએ જણાવ્યું કે નવેમ્બરમાં ઇન્ડિગોની કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ક્રૂ અને FDTL નિયમોને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.​​​​​​

એરલાઇન્સને નિયમોથી મુશ્કેલી કેમ...4 કારણો

  • FDTLના નિયમો માર્ચ 2024 થી લાગુ થવાના હતા, પરંતુ એરલાઇન્સે કહ્યું કે આટલો મોટો ફેરફાર એકસાથે શક્ય નથી. હજારો નવા ક્રૂની જરૂર પડશે. રોસ્ટરિંગ સોફ્ટવેર અપડેટ કરવામાં સમય લાગશે.
  • એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA) એ બુધવારે જણાવ્યું હતું કે ક્રૂની સમસ્યાઓના કારણે ઇન્ડિગોમાં ઓપરેશનલ અવરોધો એરલાઇન્સના પ્રોએક્ટિવ રિસોર્સ પ્લાનિંગની નિષ્ફળતા તરફ ઇશારો કરે છે.
  • ALPAએ એવો પણ દાવો કર્યો હતો કે ફ્લાઇટ્સ રદ થવાની ઘટનાઓ DGCA પર દબાણ લાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.
  • પાયલટોના ગ્રુપે DGCAને એવી પણ અપીલ કરી હતી કે તેઓ એરલાઇન પાસે ઉપલબ્ધ પાયલટોની સંખ્યા પર વિચાર કરે. જેથી રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (FRMS) ના નવા કોન્સેપ્ટને અપનાવી શકાય.

દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો પાસે

  • આખરે ઇન્ડિગોથી તણાવ કેમ: ઇન્ડિગો પાસે સૌથી વધુ 434 વિમાન છે. એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે.
  • હાલ કેટલો સ્ટાફ છે: હાલ તેની પાસે 5456 પાઇલટ અને 10212 કેબિન ક્રૂ મેમ્બર છે. 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે.
  • તો ક્રૂની અછત કેમ છે: ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ 8 કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દીધી છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે.કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોનું શેડ્યુલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થયું નથી, જેના કારણે ઘણા મહત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.

યાત્રીઓ માટે જરૂરી માહિતી અને સલાહ

1. મુસાફરી કરવાની હોય તો એરપોર્ટ પર વહેલા પહોંચો. મેન્યુઅલ ચેક-ઇનમાં 25–40 મિનિટનો વધારાનો સમય લાગી રહ્યો છે. બેગેજ ડ્રોપ અને સિક્યોરિટી ચેકમાં પણ વિલંબ.

2. એરલાઇન પાસેથી ફ્લાઇટ સ્ટેટસ અવશ્ય તપાસો. એપ / વેબસાઇટ પર લાઇવ સ્ટેટસ. ઘણી એરલાઇન્સ SMS/ઇમેઇલ મોકલી શકતી નથી, તેથી જાતે તપાસો.

3. ફ્લાઇટ કેન્સલ થવા પર શું વિકલ્પો? સંપૂર્ણ રિફંડ મળશે. આગામી ઉપલબ્ધ ફ્લાઇટનું રીબુકિંગ. કેટલીક એરલાઇન્સ 'વાઉચર'નો વિકલ્પ પણ આપે છે.

4. કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો. ઓવરલેપ અથવા મિસ્ડ કનેક્શનની શક્યતા વધી. એરલાઇન કસ્ટમર સપોર્ટ પાસેથી 'રી-રૂટિંગ'નો વિકલ્પ પૂછો.

 

Image Gallery