દ્વારકા-સોમનાથ હાઇ-વે ધોવાતા વાહન-વ્યવહાર બંધ, માંગરોળના ગામો સંપર્ક વિહોણા:જાફરાબાદ દરિયો તોફાની બન્યો, 3 નંબરનું સિગ્નલ લાગતા 700 બોટ લાંગરી દેવાઈ
આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 6 જિલ્લામાં રેડ, 8 જિલ્લામાં ઓરેન્જ અને 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે 7 જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનો સરેરાશ 13.27 ટકા થયો છે.
ગત 24 કલાકમાં 14 તાલુકામાં 5થી 10 ઇંચ, 85 તાલુકામાં 1થી 5 ઇંચ, 118 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. આજે (4 જુલાઇ) સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વરસાદના 13.27% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે.
બે ડેમ હાઈ એલર્ટ અત્યાર સુધીમાં નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 64.11 ટકા જેટલો ભરાયો છે. જ્યારે, અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 10 ડેમ 70થી 100 ટકા, 20 ડેમ 50થી 70 ટકા, 58 ડેમ 25થી 50 ટકા, 118 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જેમાં 2 ડેમ હાઇ એલર્ટ, 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 10 NDRFની ટીમ અને 25 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 NDRF અને 8 SDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
સોમનાથથી દ્વારકા જતો હાઇ-વે ધોવાયો, વાહન-વ્યવહાર ઠપ્પ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે.
બીલીમોરા-અમલસાડ અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી અંબિકા નદીના પુલ ઉપર અમલસાડ તરફ અચાનક મોટું ગાબડું અને તિરાડો દેખાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને પગલે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પુલ પરનો રોડ તોડીને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.