Loading...

રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશના 8 આતંકી ઝડપાયા:પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા, તમામ મહેસાણા, બનાસકાંઠા-પાટણના, MP-ગુજરાતમાં ATSનું ઓપરેશન

અમદાવાદમાં રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા.

જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો.

'જૈશ-એ-મોહમ્મદ'ના આતંકીઓ કડી કોર્ટમાં રજૂ, 14 દિવસના રિમાન્ડ મંજૂર મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા નંદાસણ નજીકથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ATSની ટીમે પાલનપુર, સિદ્ધપુર, નવસારી તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી કુલ આઠ આતંકવાદીઓની અટકાયત કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે વધુ પૂછપરછ અને તપાસ અર્થે ATSને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આઠેય આરોપીઓ વિરુદ્ધ UAPA સહિતનો ગુનો નોંધાયો ATS ગુજરાતે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ 8 આરોપીઓ વિરુદ્ધ UAPA, 1967ની કલમ 13, 17, 18, 38 અને 39 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 તથા 148 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આતંકવાદીઓમાં સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતાં હતા.

બનાસકાંઠા અને પાટણના હોવાનો ઘટસ્ફોટ ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, 2023થી 3.5 વર્ષમાં 11મો કેસ છે. કુલ 38 આરોપીઓ પકડ્યા છે. ATSને બાતમી મળી હતી કે, મહેસાણા બનાસકાંઠા અને પાટણના કેટલાક લોકો પાકિસ્તાનના જૈશ-એ મોહમદ સાથે કેટલાક લોકો સંકળાયેલા છે. અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી અને 8 લોકો સંકળાયેલા હોવાની જાણ થઈ હતી. જુદા જુદા સ્થળે આરોપીઓ ભાગાડ, સિદ્ધપુર અને નવસારી તેમજ મધ્યપ્રદેશ ખાતે હતા. જેના માટે ટીમ રવાના કરી હતી.

પાકિસ્તાનના હેન્ડલરના આદેશ માનતા હતા મોબાઇલ ફોનમાં ઘણું મળી આવ્યું હતું અને પાકિસ્તાનના હેન્ડલરના આદેશ માનતા હતા. બે આરોપીઓ પહેલા પકડવામાં આવ્યા અને બાદમાં 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ઘણું બધું સાહિત્ય મળી આવ્યું છે અને ફ્લેગ પણ મળી આવ્યા છે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા હતા. ઘણા ટાસ્ક મળતાં હતા. એક ગાડી પણ અવરજવર કરવા માટે ખરીદી હતી.

3 લાખનું ફંડિંગ, મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા કોઈ ટાર્ગેટ હજી સુધી હોવાનું જાણવા મળ્યું નથી. એક મજબૂત નેટવર્ક ઊભું કરતા હતા. તેઓને 3 લાખનું ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અબ્દુલા સાહબ કરીને કોઈ સાથે વાત કરતા હતા. જૈશ-એ-મોહમ્મદ વતી વડોદરામાં એક વ્યક્તિ સાથે મીટીંગ કરી હતી. 2થી 3 મહિના પહેલા મળ્યા હતા. આ શખસો મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા. મોબાઇલ ફોન, પત્રો, સાહિત્ય મળી આવ્યું છે.

અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર સુનિલ જોશીએ વધુમાં કહ્યું કે, આતંકીઓ પાસેથી મોબાઇલ ફોન, પત્રો સહિતનું સાહિત્ય મળી આવ્યું છે. મસૂદ અઝહરથી આતંકીઓ પ્રભાવિત હતા અને તેના ઘણા વીડિયો પણ આતંકીઓ જોતા હતા. કોઈપણ વ્યક્તિ પર ભરોસો કરતા ન્હોતા અને જે જેહાદી પર વિશ્વાસ કરે છે તેના પર જ ભરોસો મૂકતા હતા.અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર કહી શકાય છે. ટેકનિકલ ડેટા અને પૂછપરછમાં રથયાત્રામાં કોઈ પ્રવૃતિ અને રેકી અંગે કોઈ માહિતી મળી નથી.

તન્જીમ બનાવીને ગુજરાતમાં સભ્યોને જોડાવાનું કામ કરતા આરોપીઓએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) માટે ગુજરાતમાં "દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ” નામની તન્જીમ બનાવી હતી. જે તન્જીમમાં હાલમાં 8 સભ્યો જોડાયા હતા અને પોતાના વિસ્તારમાં અન્ય સભ્યોને જોડાવવા આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા હતા. તેમજ આ આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર અબદુલ્લાહ અને મોહમ્મદ ઉમર સાથે સંપર્કમાં હતા અને જૈશ-એ-મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ભાષાંતર કરી તેની વિચારધારાનો પ્રચાર-પ્રસાર થઈ શકે તેવી કામગીરી કરી રહ્યા હતાં.

તેમજ જૈશ-એ-મોહમ્મદ વતી ગુજરાતમાં આંતકવાદી કૃત્ય પાર પાડવાના ષડયંત્રમાં સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા હતા. આ ષડયંત્રને પાર પાડવા માટે તેઓએ અંદાજે 3 લાખનું ફંડિંગ મેળવ્યું હતું, તેમાંથી એક જુની કાર ખરીદવામાં આવી હતી. જે હાલ સુધી પોતાના નામે કરાવી નથી.

ATSના DYSPને બાતમી મળીને, આ રીતે ઓપરેશન પાર પાડ્યું ગુજરાત ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળી હતી કે, રાજ્યમાં કેટલાક શખસો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સક્રિયપણે જોડાયેલા છે. આ શખસો ભારતના નાગરિકોનો વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક કરી, તેને સંગઠનની કટ્ટરપંથી વિચારધારા તરફ વાળીને ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું એક સક્રિય નેટવર્ક ઊભું કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ દેશવિરોધી કૃત્યો અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરી તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યા હતા.

આ બાતમી અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરાતા, તેના નિર્દેશ અને SP કે. સિધ્ધાર્થના સીધા માર્ગદર્શન હેઠળ DYSP હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ હાઈ-લેવલ ટીમમાં નીચે મુજબના અધિકારીઓ સામેલ હતાં, જેમાં PI ડી.વી. રાઠોડ, PI કે.પી. ગોલેતર, PI એમ.એન. શાહ, PI એમ.પી. ઝાલા અને PSI મનિષ પટેલ અને ડી.વી. રબારી સામેલ હતા.

આતંકીની પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રચાર કરતાં ATSની ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ શખસો માત્ર અન્ય લોકોને સંગઠનમાં જોડાવા માટે જ નહોતા ઉશ્કેરતા, પરંતુ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાહિત્યનો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સ્થાનિક સ્તરે તેની વિચારધારાનો વધુમાં વધુ પ્રસાર થાય તેવા સઘન પ્રયાસો પણ કરી રહ્યા હતા.

5 જિલ્લામાં રેડ અને 8 આતંકીની ધરપકડ સંગઠનના મનસૂબાઓને નાકામ કરવા માટે ATSના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી જુદી જુદી કુલ 5 ટીમ બનાવવામાં આવી હતી. ગુજરાતની બનાસકાંઠા, નવસારી અને પાટણ પોલીસ તેમજ મધ્યપ્રદેશની દેવાસ પોલીસને સાથે રાખીને એક મોટું જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સંબંધિત વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને કુલ 8ની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ ATS કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.

આતંકીમાથી એક પાટણના મદ્રેસામાં શિક્ષક તો બે વિદ્યાર્થી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ સ્થિત મદ્રેસાના ટ્રસ્ટી જુનેદે જણાવ્યું કે, ATS દ્વારા ઝડપાયેલા ત્રણ વ્યક્તિઓમાંથી ફોજાન દાઉવા છેલ્લા ચાર વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે મોહમ્મદ અમીન શેર છેલ્લા સાત વર્ષથી અને ઝકરિયા દુરાની છેલ્લા ચાર વર્ષથી અહીં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા. રૂમ નંબર 5 શિક્ષક અને રૂમ નંબર 21,35 વિદ્યાર્થી રહેતા હતા

મદ્રેસાના ટ્રસ્ટીએ કહ્યું- ATSની ટીમ આવી ત્યારે અમને ખબર પડી ટ્રસ્ટી જુનેદના જણાવ્યા અનુસાર, ATSની ટીમ પૂછપરછ કરવા આવી ત્યારે જ તેમને પ્રથમ વખત આ મામલાની જાણ થઈ હતી. તેમણે કહ્યું કે આરોપીઓની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે જીવનશૈલી ક્યારેય ધ્યાનમાં આવી નહોતી, તેથી તેમના પર કોઈ શંકા પણ ગઈ નહોતી. મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન રાખવાની મંજૂરી નથી. શિક્ષકો પાસે મોબાઇલ હોય છે અને પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીઓએ શિક્ષકના મોબાઇલનો ઉપયોગ કરીને સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી છે. મદ્રેસામાં હાલમાં કુલ 380 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ATSની ટીમ અહીં પૂછપરછ માટે આવી હતી. તેમણે ઉમેર્યું કે તેઓ મદ્રેસાના ટ્રસ્ટી તેમજ સંસ્થાના સંચાલનની જવાબદારી સંભાળે છે.

Image Gallery