ચાલુ ટ્રેને દીકરી તરફ વિધર્મી યુવકે સિગારેટનો ધુમાડો છોડ્યો:દાહોદનો પરિવાર અસ્થિ વિસર્જન કરવા જતો'તો; વિરોધ કર્યો તો ખાચરોદ રેલવે સ્ટેશને પોતાની કોમના ટોળાં બોલાવી લીધાં
ગુજરાતના દાહોદથી અસ્થિવિસર્જન માટે ઉજ્જૈન જઈ રહેલા પરિવાર સાથે ટ્રેનમાં મારપીટનો મામલો સામે આવ્યો છે. રતલામ સ્ટેશનથી કેટલાક યુવકો ટ્રેનમાં સવાર થયા હતા, જેઓ નાગદા જવાના હોવાનું કહેવાય છે.
આરોપ છે કે રતલામથી ખાચરોદ વચ્ચેની યાત્રા દરમિયાન તેમાંથી એક મુસ્લિમ યુવકે પરિવારની એક છોકરી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પરિવારે તેનો વિરોધ કર્યો, ત્યારે વિવાદ શરૂ થયો.
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, વિવાદ વધતાં ખાચરોદ સ્ટેશનથી મુસ્લિમ સમાજના વધુ લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ 50થી 60 લોકોએ ટ્રેનમાં ચઢીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર સાથે નિર્દયતાથી મારપીટ કરી. પીડિત પરિવાર હજુ પણ ભયભીત છે.
મહિલા બોલી- આરોપી યુવક ટ્રેનમાં સિગારેટ પી રહ્યો હતો પીડિત પરિવારની એક મહિલાએ જણાવ્યું કે આરોપી યુવક ટ્રેનમાં સિગારેટ પી રહ્યો હતો. જાણી જોઈને તે છોકરીઓ તરફ ધુમાડો ઉડાવી રહ્યો હતો. વિરોધ કરવા પર ગાળાગાળી શરૂ થઈ અને પછી મારપીટ કરવામાં આવી.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હિંદુ સંગઠનોને ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર એકઠા થઈ ગયા. મુસ્લિમ સમુદાય તરફથી પણ મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર પહોંચવા લાગ્યા.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ નાગદા પહોંચી ગયું છે.
જીઆરપી દ્વારા પીડિત પક્ષના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ઘટના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે.