Loading...

DySPનો ગુસ્સો- 'પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં':MLAની ચેલેન્જ- 'જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી પીછેહઠ નહીં'; સિદ્ધપુરમાં પદયાત્રા અટકતાં હવે કાણોદરમાં ધરણાં

સિદ્ધપુર DySP અને આદિવાસી આગેવાનો વચ્ચે રકઝક પાલનપુર પોલીસે આદિવાસી આગેવાનોને છોડી મુકતા આગેવાનો અને MLA કાંતિ ખરાડી સિદ્ધપુર પહોંચ્યા હતા. જોકે, અહીં પણ મંજૂરીના અભાવે સિદ્ધપુર પોલીસે કાકોશી ચાર રસ્તા પાસે આ યાત્રાને અટકાવી હતી. DySP કે.કે. પંડયાએ પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં કહેતા આદિવાસી આગેવાનો અને પોલીસ સામાન્ય રકઝક થતાં મામલો ગરમાયો હતો.

મંજૂરી વગર સિદ્ધપુરમાં પણ યાત્રા અટકાવાઇ પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, આ પદયાત્રા યોજવા માટે આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે મંજૂરી વગર શરૂ થતી આ પદયાત્રાને કાકોશી ચાર રસ્તા પાસે જ અટકાવી દીધી હતી. બીજી તરફ આદિવાસી આગેવાનો પોતાની માંગણીઓ પર મક્કમ જોવા મળ્યા હતા. જે બાદ કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જવા રવાના થયા છે અને જ્યાં સુધી પોલીસ પદયાત્રાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી કાણોદરમાં ધરણા કરવાની કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી છે.

દાખલા નહીં આપો ત્યાં સુધી પીઠેહઠ નહીં કરીએ: MLA દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, જ્યાં સુધી દાખલા ન મળે ત્યાં સુધી અમે જપીને બેસીશું નહીં, કારણ કે આવતી પેઢીનો સવાલ છે. ભણેલા છોકરાઓ ઘરે બેઠા છે. જાતિના દાખલા માટે 1950નો પુરાવો અમારે આપવાનો? આ કયો નિયમ છે? આ પુરાવા તો સરકાર પાસે પડ્યા છે, અમારી પાસે નથી. જે કર્યું એ સરકારે કર્યું છે અમે નથી કર્યું. અમારી એક જ માંગ છે કે પહેલાં મળતા હતા એવી રીતે અમને દાખલા આપો અમારે ગાંધીનગર નથી આવવું. જો દાખલા ન આપો તો અમે 100 ટકા ગાંધીનગર આવીશું અને પીછેહઠ કરવાના નથી.

'પોલીસ મંજૂરી આપવામાં વિલંબ કરે છે' ધારાસભ્ય કાંતિ ખરાડીએ વધુમાં જણાવ્યું કે, સરકાર ગમે તે કરીને આદિવાસીઓ ગાંધીનગર ન પહોંચે એવા પ્રયત્ન કરે છે. આદિવાસીઓ પર અત્યાચાર કરે છે. ગઇકાલે અમે પાલનપુરથી નીકળ્યા તો ગમે તે બાંના હેઠળ તાનાશાહી કરીને અમને કાણોદરમાં અટકાવ્યા, જે બાદ રાત્રે અમને ડિટેન કર્યા. સરકારે તમને સત્તા આપી હોય તો અમને અહીં દાખલા આપી દો અમે દાખલા લઇને રવાના થઇ જઇશું, જો ન આપો તો અમને ગાંધીનગર જવા દો એવી અમારી માંગ છે. ઉપરથી દબાણ આવતા પોલીસ મંજૂરી આપવામાં વિલંબ કરે છે.

'ગઇકાલથી પોલીસ માનસિક અત્યાચાર કરે છે' કાંતિ ખરાડીએ જણાવ્યું કે, ગઇકાલે અમે નીકળ્યા ત્યારથી પોલીસ માનસિક અત્યાચાર ગુજારે છે. પરમિશન માટે મારા લેટરપેડ પર લખીને ઇમેલ કર્યો છે, પણ આમને ક્યાં કોઇ નિયમ લાગુ જ પડે છે. રાત્રે મને આદિવાસી આગેવાનો સાથે મને ડિટેન કર્યો. ત્રણ-ચાર કલાક બેસાડી રાખીને અમને છોડી મુક્યા. હું પોલીસને કહેવા માંગુ છું કે, તમે જેટલી વાર ડિટેન કરશો ને અમને છોડી મૂકશો, જેટલા હેરાન કરવા હોય એટલા કરો પણ અમે ભૂખ્યા રહીશું, તરસ્યા રહીશું અને મરવું પડશે તો મરીશું પણ અમારી લડત ચાલુ રાખીશું. આજે આદિવાસી સમાજનો મુદ્દો છે આવતીકાલે અઢારે વરણનો મુદ્દો હશે. એટલે બધા સાથે ચાલીને આ મુશ્કેલીનું નિવારણ લાવીએ.

'ઉપર બેઠેલા લોકોના નશાના કારણે પોલીસ નાચે છે' દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, ઉપર બેઠેલા લોકોના નશાના કારણે પોલીસ નાચી રહી છે. હું હર્ષ સંઘવીને કહું છું કે જો તમારામાં પાણી હોય તો સામે ચાલીને અથવા તમે કોઇ પ્રતિનિધિને અહીં મોકલી આપો ને જૂઓ અહીં આદિવાસીઓ પર અત્યાચાર થઇ રહ્યો છે. તમે ધરમના ધક્કા ન ખવડાવો. બબ્બે વર્ષથી દાખલા નથી મળતા. અહીં વહીવટી તંત્ર એમ કહે છે કે અમારામાં નથી આવતું રાજ્ય સરકારમાં આવે છે અને અમને ગાંધીનગર જવાની પરમિશન નથી આપતું. અમે હક માટે આવ્યા છીએ, લડત કરવા માટે નથી આવ્યા. જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી અમે નહીં જપીએ. તમે માનવતાના ધોરણે દાખલા આપી દો અમારે ગાંધીનગર નથી આવવું.

આદિવાસીઓના દાખલા બંધારણીય હક છે: ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, અમારી કોંગ્રેસની જન આક્રોશ રેલી નીકળી ત્યારે પણ અમારા પ્રદેશ પ્રમુખ આદિવાસીઓના દાખલા મુદ્દે વાત કરી હતી. બંધારણીય જોગવાઇ હોવા છતાં ભાજપની પોલીસ દ્વારા દબંગીરી કરવામાં આવી રહી છે. અમારો ભાજપને સવાલ છે કે તમે શરૂઆત નથી કરી, કોંગ્રેસના શાસનમાં પણ દાખલા મળતા હતા, એ એમનો હક છે. તમે રાત્રે દોઢ વાગ્યે ટીંગાટોળી કરીને આદિવાસીઓને હેરાન કેમ કરો છો? તમારે રોકવા હતા તો ગઇકાલે બપોરે જ રોકી લેવા હતા.

'પરમિશન નહીં મળે તો પણ અમે આ યાત્રા કાઢીશું' પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, તમામ ક્ષેત્રે ભાજપના ઇશારે પોલીસ દબંગગીરી કરે છે, આજે અમારા સિદ્ધપુર વિસ્તારમાં આદિવાસી સમાજની પદયાત્રા છે, આ પદયાત્રાને અમારો ફૂલ સ્પોર્ટ છે. અમે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આ યાત્રામાં જોડાઇશું અને ગાંધીનગર સુધી પણ હક માટે લડીશું. પોલીસ જો પરમિશન નહીં આપે તો પણ અમે આ યાત્રા કાઢીશું જ. કોંગ્રેસ ગાંધીના માર્ગે ચાલનારી પાર્ટી છે, કોઇની દાદારીગી સાંખી લેવામાં નહીં આવે.

મધરાતે પોલીસે ટીંગાટોળી કરી પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ પદયાત્રા માટે કોઇ મંજૂરી લેવામાં આવી નહોતી. ગઇકાલે બપોરે પાલનપુરથી ગાંધીનગર માટે આ પદયાત્રા શરુ થઇ હતી. આદિવાસી આગેવાનો ચાર જિલ્લાનો પ્રવાસ કરીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના હતા. જોકે, મંજૂરી વગર આ પદયાત્રને ગઇકાલે મોડી સાંજે જ કાણોદર નજીક અટકાવવામાં આવી હતી. પોલીસની સમજાવટ બાદ પણ મામલો થાળે ન પડતાં પોલીસે મધરાતે ટીંગાટોળી કરીને આદિવાસી આગેવાનોની અટકાયત કરી હતી. અટકાયત કરેલા તમામ લોકોને પાલનપુર તાલુકા પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. જોકે, વહેલી સવારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા. દાંતાના ધારાસભ્યે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આજે અમે ફરીથી સિદ્ધપુરથી પદયાત્રાનો પ્રારંભ કરીશું.

જાતિના દાખલાનું કોઇ નિવારણ ન આવ્યું: કાંતિ ખરાડી ગઇકાલે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા થતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે.

સરકારી નોકરીના ઓર્ડર અટકાવી દેવાય છે:ઈશ્વરભાઈ ડામોર આદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ સરકારે આજ દિન સુધી કોઈ સુખદ નિરાકરણ લાવ્યું નથી. ત્રણ વર્ષથી મહેનત કરીને પરીક્ષા પાસ કરનાર યુવાનોની સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે.

Image Gallery