રાજકોટમાં દોઢ કલાકમાં ભૂકંપના 6 આંચકા:ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર, ઉપલેટાથી 27-30 કિલોમીટરના અંતરે કેન્દ્ર બિંદુ નોંધાયા
દોઢ કલાકમાં છ આંચકા નોંધાયા ગઇકાલે સાંજે 4 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં છ આંચકા નોંધાતા લોકોના જીવ અધ્ધ થઇ ગયા છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટરના અંતરે નોંધાયા છે. જ્યારે તીવ્રતા 3.5 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે.
લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. બે હજારની સાલના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે.

ધોરાજી-જેતપુરની તામ શાળાઓમાં રજા જાહેર સતત ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચર્યોને જાણ કરી હતી.
આચાર્યએ જાતે નિર્ણય લઇ લેવો: જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી ધોરાજી અને જેતપુરમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. માહિતી મળી રહી છે કે ઉપલેટા અને ગોંડલમાં પણ અસર થઇ છે. જેને લઇને અહીંથી સૂચના આપવામાં આવી છે કે સ્થાનિકકક્ષાએ મામલતદાર અને શાળાના આચાર્યએ નિર્ણય લઇને જ્યાં જણાય ત્યા વિદ્યાર્થીઓને રજા આપી દેવી અને શિક્ષકોને શાળામાં હાજર રહેવું.
'ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવા' અત્યારે ધોરાજી અને જેતપુર બંને તાલુકાની તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઇ બિલ્ડિંગને ક્ષતિ થઇ હોય એમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવામાં સૂચના આપવામાં આવી છે. જેનો અમે પાછળથી સર્વે કરાવીશું. ધોરાજી તાલુકાની 48 શાળાઓ અને જેતપુર તાલુકાની 70 શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. અમે શાળાના આચાર્યોને જ સૂચના આપી છે કે તમને એવું લાગે તો તમે વિદ્યાર્થીઓને રજા આપી દેજો.
વાસણો ખખડવાનો અવાજ સંભળાયો સ્થાનિકોએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે અને આજે વહેલી સવારથી ઉપરાઉપરી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મકાનોની બારીઓ અને વાસણો ખખડવાનો અવાજ પણ સંભળાયો હતો.
જાનહાનિના કોઈ સમાચાર નહીં સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને પોતાના વિસ્તારમાં તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ અગાઉ 24 ઓક્ટોમ્બર 2025ના રોજ પણ રાજકોટ જિલ્લાના વિરપુર અને જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ શહેરથી લગભગ 24 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક ખેતરમાં નોંધાયું હતું..
લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા 24 ઓક્ટોમ્બરના રોજ બપોરે 12 વાગ્યેને 37 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ખૂબ જ હળવો હતો અને માત્ર એકથી બે સેકન્ડ પૂરતો જ ચાલ્યો હતો. જોકે, ભૂકંપનો અહેસાસ થતાં જ લોકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર, દુકાન કે ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા.
