અંતરિક્ષમાં 'પેટ્રોલ પંપ' અને AI લેબ: ISROએ 'અન્વેષા' સેટેલાઇટ લોન્ચ કર્યો
PSLV-C62 રોકેટે 16 ઉપગ્રહોના સમૂહને સન-સિંક્રોનસ પોલર ઓર્બિટમાં સ્થાપિત કર્યા છે, જેમાં દેશનો અત્યંત મહત્વપૂર્ણ સંરક્ષણ ઉપગ્રહ 'અન્વેષા' (EOS-N1), ભારતની પ્રથમ ઓર્બિટલ AI-ઇમેજ લેબોરેટરી અને અવકાશમાં સેટેલાઇટ માટેનો પ્રથમ 'પેટ્રોલ પંપ' (ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ મોડલ) સામેલ છે.
દેશનો સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ સેટેલાઇટ 'અન્વેષા'
આ મિશનનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો EOS-N1 છે, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલો એક અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ ઉપગ્રહ દેશની સંરક્ષણ ક્ષમતાઓને નવી ઊંચાઈ પર લઈ જશે અને સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. લોન્ચિંગ બાદ DRDO દ્વારા વિકસિત 'અન્વેષા' સેટેલાઇટની પ્રથમ તસવીરો પણ સામે આવી છે.
અવકાશમાં 'પેટ્રોલ પંપ': કચરો ઘટશે, સેટેલાઇટનું આયુષ્ય વધશે
આ મિશનમાં ચેન્નઈના સ્ટાર્ટઅપ OrbitAid Aerospace દ્વારા વિકસિત 'આયુલસેટ' (AayulSAT) નામનો ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જે અવકાશમાં 'પેટ્રોલ પંપ' જેવું કામ કરશે. સામાન્ય રીતે, કોઈ પણ સેટેલાઇટનું આયુષ્ય તેમાં રહેલા બળતણ પર નિર્ભર કરે છે. બળતણ સમાપ્ત થયા પછી, સેટેલાઇટ નકામો બની જાય છે અને અવકાશમાં કચરો બનીને ફરે છે.
'આયુલસેટ' આ સમસ્યાનો ઉકેલ લાવશે. તે અવકાશમાં અન્ય સેટેલાઇટ્સને ઇંધણ ભરવાની (in-orbit refueling) ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. આ ભારતનું પ્રથમ કોમર્શિયલ ઇન-ઓર્બિટ ડોકિંગ અને રિફ્યુલિંગ ઇન્ટરફેસ હશે, જે ભવિષ્યમાં સેટેલાઇટ્સનું આયુષ્ય વધારવામાં અને અવકાશના કચરાને ઘટાડવામાં ક્રાંતિકારી સાબિત થશે.
અવકાશમાં AI લેબ અને વિશ્વનો સૌથી હલકો ટેલિસ્કોપ
આ મિશનમાં હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત MOI-1 નામનો ઉપગ્રહ પણ સામેલ છે, જે અવકાશમાં એક AI લેબ તરીકે કામ કરશે. વિશ્વનો સૌથી હલકો સ્પેસ ટેલિસ્કોપ ધરાવતી આ સિસ્ટમ, યુઝર્સને વાસ્તવિક સમયમાં કુદરતી આપત્તિઓના વિશ્લેષણ માટે અવકાશમાં AI પ્રોસેસિંગ પાવર ભાડે લેવાની સુવિધા આપશે.
આ સફળ લોન્ચિંગ સાથે, ISROએ વૈશ્વિક સ્તરે નાના-સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં ભારતના વધતા દબદબાને વધુ એક વખત સાબિત કરી દીધો છે.