Loading...

પ્લેન ક્રેશમાં નવો ઘટસ્ફોટ:કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હતી

12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.

WSJએ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, 'તમે ફ્યુઅલ સ્વીચને 'કટઓફ' કેમ કરી?'

પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટ ક્લાઈવ કુંદરને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો.

વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.

5 દિવસ પહેલા ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી 

અગાઉ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.

જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યુઅલ સ્વીચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.

એર ઇન્ડિયાએ કહ્યું- બોઇંગ-787 વિમાનના ફ્યુઅલ સ્વીચમાં કોઈ ખામી નથી

એર ઇન્ડિયાએ બુધવારે માહિતી આપી હતી કે તેના તમામ બોઇંગ-787 સિરીઝના વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) ના લોકીંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેના પાઇલટ્સને મોકલવામાં આવેલા સંદેશમાં, એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યુઅલ સ્વીચમાં કોઈ ખામી જોવા મળી નથી.

કંપનીએ જણાવ્યું કે બધા બોઈંગ- 787 વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) પણ બદલવામાં આવ્યા છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ, TCMનો એક મુખ્ય ભાગ છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ 14 જુલાઈએ બધી એરલાઇન કંપનીઓને 21 જુલાઈ સુધી બોઈંગ-737 અને 787 સીરિઝના બધા વિમાનોમાં ફ્યુઅલ સ્વિચની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એર ઇન્ડિયા પાસે કુલ 33 બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન છે. ઇન્ડિગો પાસે સાત B-737 મેક્સ 8 અને એક B-787-9 વિમાન છે. આ બધા વિમાન લીઝ, વેટ લીઝ અથવા ડેમ્પ લીઝ પર છે. તેથી, ભારતમાં રજિસ્ટર્ડ નથી.