500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે:45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી; કોમનવેલ્થ-ઓલમ્પિકને લઈને ડેવલપ કરાશે
ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવેલ છે. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મોટેરાએ શહેરના રમતગમત અને શહેરી ભવિષ્યના કેન્દ્રબિંદુ તરીકે સ્થાન મેળવી લીધું છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારીઓ કરી રહ્યું છે અને લાંબા ગાળે ઓલિમ્પિક્સ માટેના સપનાઓ પોષી રહ્યું છે ત્યારે આ જમીન પાછી મળવી મહત્વપૂર્ણ છે.
ધાર્મિક ઉપયોગ માટે આપેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરી ગઈ કોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલાં માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ હતી. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી.
આશ્રમને અનેક વખત નોટિસ અપાઈ રાજ્ય સરકાર તરફથી હાજર થયેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે આ કોઈ અચાનક લેવામાં આવેલ પગલું કે વહીવટી અતિશયતા નથી. પરંતુ ન્યાયસંગત, ધીરજ યુક્ત નિર્ણય પ્રક્રિયાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આશ્રમને કાયદેસર જરૂરી કરતાં પણ વધુ વખત નોટિસ આપવામાં આવી, એક પછી એક સુનાવણીઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે જાહેર જમીનને ઇંચે ઇંચે અતિક્રમણ કરીને પછી તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય હોઈ શકે નહીં.
30થી વધુ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરાઈ હતી જમીનના દુરુપયોગ અંગે જાહેર ચિંતા વધતાં સત્તાવાળાઓએ પણ પગલાં લીધા હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્થિત આશ્રમમાં આવેલી 30થી વધુ ગેરકાયદેસર રચનાઓને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ખાસ કરીને આવા સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે.
એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી હતી અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી.
આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામ દૂર થશે કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી હતી. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો હતો.
જેમાં 21 જાન્યુઆરીએ મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી હતી.
દબાણ કરેલી જગ્યા ખાલી કરવા આસારામ આશ્રમને નોટિસ રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી હતી.
આસારામ આશ્રમ સહિત કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશે સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી, જેથી ગેરકાયદે કબજા અંગે જે-તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી હતી.