Loading...

અમદાવાદ: રથયાત્રાના રૂટ પર ભાજપના નેતા-અધિકારીઓનું નિરીક્ષણ

આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ ઉપર આજે(20 જૂન) શુક્રવારે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બે દિવસમાં પૂર્ણ થઈ જશે જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રૂટ ઉપર જે રોડ પર બેરીકેટ લગાવ્યા હતા તેને ખોલી દેવામાં આવ્યા છે. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે.

મોટાભાગની કામગીરી પૂર્ણ: મેયર મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આજે અંદાજિત 14 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં રોડ રસ્તા રિસરફેસ, ઝાડ ટ્રીમિંગ કરવાની, લાઈટો લગાવવાની, પાણીની પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનોને ઉતારવા અંગેની સૂચના આપવામાં આવી હતી. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યાં હજી પણ નાની-મોટી કામગીરી કરવાની બાકી છે તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ ઉપર અત્યારે કામગીરી કરવામાં આવી છે.

‘જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપી’ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ પર જેટલા પણ ભયજનક મકાનો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી. જો કોઈએ નોટિસ આપ્યા બાદ પણ પાલન નથી કર્યું તો તેમના લાઈટ, ડ્રેનેજ અને પાણીના કનેક્શન આપી નાખવામાં આવી રહ્યા છે. જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળે જેને લઈને આજે રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

‘કાલુપુર પાસે બેરીકેટ હટાવી રોડ ખોલી દેવાયો’ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે જેમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા, ખાડિયા, કાલુપુર થઈને સરસપુર મોસાળ જશે. રથયાત્રા પરત કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, ઘીકાંટા, પાનકોરનાકા થઈને પરત જમાલપુર મંદિરે આવશે. આ રૂટ ઉપર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન નજીકની કામગીરી ચાલી રહી છે ત્યારે કાલુપુર ઇન ગેટ પાસે ડીસીપી ઓફિસ પાસે મૂકવામાં આવેલા બેરીકેટ હટાવી લેવામાં આવ્યા છે અને રોડ ખોલી દેવામાં આવ્યો છે. જેથી પરંપરાગત રીતે રૂટ ઉપર રથયાત્રાને કોઈપણ તકલીફ નહીં પડે.

‘રીલીફ રોડ તરફ જ લોકો ઊભા રહીને દર્શન કરી શકશે’ જોકે રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાના કારણે ટ્રાફિક ડીસીપી ઓફિસથી કાલુપુર મોતીમહેલ પાસે માત્ર રીલીફ રોડ તરફ જ લોકો ઊભા રહીને દર્શન કરી શકશે. રોડની બીજી તરફ બેરીકેટ લગાવેલા હોવાથી ત્યાંથી લોકોને દર્શન કરવા નહીં મળે. જગ્યા ઉપર ખૂબ વધારે ભીડ થાય તેવી શક્યતા છે જેથી ડીસીપી ઓફિસથી મોતીમહેલ સુધી કોઈ વધારે ભીડ ન થાય અને સરળતાથી નીકળી શકે તે મુજબનું આયોજન કરવામાં આવનાર છે.