ગુમ થયેલા બાળકો ક્યાં છે ? ‘સરકાર ગોળ-ગોળ જવાબ આપવાનું બંધ કરે’ ! વિપક્ષનો સરકાર પર પ્રહાર
ધારાસભ્યના આકરા સવાલો અને સરકારનો જવાબ
વિમલ ચુડાસમાએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી અનેક બાળકો અને મહિલાઓ ગુમ થયા છે, પરંતુ પોલીસ તપાસમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, “વર્ષ 2024 અને 2025ના સમયગાળા દરમિયાન ગુમ થયેલા બાળકોમાંથી હજુ સુધી એક પણ બાળક પરત મળ્યું નથી. આંકડાકીય માહિતી મુજબ 8 જેટલા માસૂમ બાળકો હજુ પણ લાપતા છે.”
“મને ગોળ-ગોળ જવાબ આપવામાં આવ્યો”
ચર્ચા દરમિયાન વિમલ ચુડાસમાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે આ ગંભીર બાબતે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સરકાર તરફથી સંતોષકારક જવાબ આપવાને બદલે માત્ર આશ્વાસન અને ગોળ-ગોળ જવાબો આપવામાં આવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે, “ગીર સોમનાથનું 1 અને જૂનાગઢના 7 બાળકો ક્યારે શોધાશે? શું સરકાર પાસે આ પરિવારના આંસુ લૂછવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા છે?”
મહિલાઓની સુરક્ષા પર પણ સવાલ
માત્ર બાળકો જ નહીં, પરંતુ બંને જિલ્લામાં મહિલાઓના ગુમ થવાના વધી રહેલા ગ્રાફ અંગે પણ ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે માંગ કરી છે કે આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે અને ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે પોલીસની તપાસ તેજ કરવામાં આવે. આ મામલે ગૃહમાં વિપક્ષે પણ ધારાસભ્યને ટેકો આપતા ભારે હોબાળો મચ્યો હતો.