Loading...

અમદાવાદના કાંકરિયાની બાલવાટિકાનું આજે CMના હસ્તે ઉદ્ઘાટન

અમદાવાદીઓ માટેના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે. ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે. બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલને આજે એટલે કે 25 જુલાઇને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ખુલ્લી મૂકશે.

નાનાં બાળકોથી લઈ મોટાની એન્ટ્રી ફી રૂ. 50, રાઇડ્સની અલગ 

કાંકરિયા બાલવાટિકામાં નવી બનેલી બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. નાનાં બાળકોથી લઇ મોટા સુધીની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે. જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકે એવા સ્નોપાર્ક (નભોદર્શન અને જેકેટ્સ સાથે)ની ફી રૂ. 450 રાખવામાં આવી છે.

ભારતનો પ્રથમ ગ્લાસ ટાવર 

બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતાં અલગ જ લુકમાં જોવા મળશે. એમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે ના જોવા મળે એવા મ્યુઝિયમ અને રાઇડ્સનો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. બાલવાટિકામાં નાનાં બાળકોથી લઇ મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઈડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે.

તમામ મંજૂરીઓ મળતાં હવે બાલવાટિકાનું ઉદ્ઘાટન થશે 

વર્ષ 1956માં કાંકરિયા પરિસરમાં બનેલી બાલવાટિકા જે હાલમાં કાંકરિયા ઝૂ ખાતા હસ્તક આવેલી છે, જેનું 68 વર્ષ બાદ પીપીપી ધોરણે રિડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રેકટ આપીને નવીનીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનાથી બાલવાટિકા બનીને તૈયાર હતી, પરંતુ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ કડક નિયમો અને લાઇસન્સની પ્રક્રિયા હોવાથી અલગ અલગ મંજૂરી અને લાઇસન્સ લેવામાં મોડું થયું હોવાના કારણે બાલવાટિકાનું ઉદ્ઘાટન થઈ શક્યું નહોતું. તમામ પ્રકારનાં લાઇસન્સ અને મંજૂરીઓ મળી જતાં હવે બાલવાટિકાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

પીપીપી ધોરણે શરૂ થનારા પ્રોજેક્ટથી મનપાની આવક પણ વધશે 

બાલવાટિકામાં અગાઉનાં વર્ષોમાં અંદાજિત વાર્ષિક રૂ.10 લાખની આવક થતી હતી, પરંતુ આ બાલવાટિકાને પીપીપીના ધોરણે રિડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવતાં 27 ટકા રેવન્યુ શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉનાં વર્ષોમાં અંદાજિત વાર્ષિક આવક 10 લાખની થતી હતી, એની જગ્યાએ હવે અંદાજિત વાર્ષિક આવક રૂ. 40 લાખ થશે. તમામ પ્રકારના મેન્ટેનન્સથી લઈ લાઈટ બિલ અને સિક્યોરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રેક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ. દ્વારા કરવામાં આવશે.