ચાણસ્મામાં ટોળાના હુમલાથી ભાગેલ 8 પોલીસ સસ્પેન્ડ થયા બાદ, આજે આરોપીને પકડીને જાહેરમાં સરભરા કરી
પોલીસની આબરૂ પર લાગ્યો હતો દાગ
ઘટનાના દિવસે જ્યારે ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હુમલો થયો, ત્યારે મદદ માટે પહોંચેલી પોલીસની 112 વાન પર ગુંડાઓએ બેફામ પથ્થરમારો કર્યો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે પોલીસ ગુંડાઓનો સામનો કરવાને બદલે ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. આ શરમજનક ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકના PI, ASI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોતાની આબરૂ બચાવવા માટે હવે પોલીસે ખંડણીખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
ખુદ પોલીસ બની ફરિયાદી
આ સમગ્ર કેસમાં બે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસ પોતે જ ફરિયાદી બની છે. પકડાયેલા 18 આરોપીઓ સામે પોલીસ પર હુમલો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. જોકે, હજુ પણ મુખ્ય ખંડણીખોર શખ્સો પોલીસ પકડથી દૂર છે. હાલમાં પોલીસે ઝીલિયા અને વામૈયા પંથકમાં પોતાનો દબદબો કાયમ કરવા માટે આ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુજરાત પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદો હાથમાં લેનારાઓને છોડવામાં નહીં આવે. હવે જોવાનું એ રહેશે કે મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ ક્યારે પહોંચે છે?