જેની બીક હતી એ જ બોમ્બ ફૂટ્યો, અછતની અફવા ફેલાતા પેટ્રોલ પુરાવવા પડાપડી, પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ વાગ્યા
મેમનગર ગામ, માનવમંદિર અને જજીસ બંગલો રોડ પર આવેલા અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. પકવાન ચાર રસ્તા પાસેનો પંપ પણ બંધ કરી દેવાયો છે, જ્યાં અત્યારે માત્ર CNG નું જ વેચાણ થઈ રહ્યું છે. બોડકદેવમાં તો સ્થિતિ એવી છે કે પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકોને 1 થી 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
લોકોમાં ડર અને લાંબી કતારો
પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ડર પેઠો છે કે આગામી દિવસોમાં ઇંધણ મળશે નહીં. આ ડરના માર્યા લોકો જરૂરિયાત કરતા વધુ પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા છે, જેને કારણે રસ્તાઓ પર અડધા કિલોમીટર સુધી ટ્રાફિક જામ અને લાંબી લાઈનો લાગી છે. તંત્ર દ્વારા જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.