પેટ્રોલ અંગે સરકારની અપીલની અસર નહીં, અમદાવાદીઓએ પેટ્રોલપંપ પર લાઈનો લગાવી
મણિનગરના રામબાગ પેટ્રોલ પંપના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકો મોડી રાત્રે સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. લાંબા સમય સુધી રાહ જોવાથી કંટાળેલા કેટલાક લોકોએ પોતાની વાહનો પેટ્રોલ પંપ પર જ મૂકી ત્યાંથી જતાં રહ્યા હતા. મણિનગરના HPCL પંપ પર પણ વાહનોની ભારે ભીડ જોવા મળી હતી.
સરકાર, પેટ્રોલ પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં લોકોમાં ભયનો માહોલ ઓછો થયો નથી. પરિણામે, લોકો સતત પેટ્રોલ ભરાવવા માટે પંપ પર ઉમટી રહ્યા છે. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર લાઈનોને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી પછી લાઈનો થોડા પ્રમાણમાં ઘટતી જોવા મળી હતી.
સરકાર દ્વારા અફવા પર વિશ્વાસ ન રાખવા અપીલ કરવામાં આવી હોવા છતાં તેની અસર દેખાઈ નથી. બીજા દિવસે પણ અમદાવાદના સાઉથ બોપલ, પ્રહલાદનગર, નિરંજનનગર અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી રહી હતી. કેટલાક પંપ પર હજુ પણ પેટ્રોલ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોમાં ગભરાટ યથાવત છે.