અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા:વડોદરામાં પાટીલે યોગ કર્યા
આજે (21 જૂન) વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા. આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. વડોદરામાં પાટીલે યોગ કરી મહત્વ સમજાવ્યું તો સુરત-રાજકોટમાં લાખો લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ અમિત શાહ સરખેજમાં હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર આપી હતી.
વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે
મકરબા તળાવ પાસે AMCના ખુલ્લા પ્લોટમાં અમિત શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મિશન ફોર મિલિયન ટ્રી (FMT) અંતર્ગત આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. અહીં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત AMC દ્વારા વિનામૂલ્ય રોપા આપવામાં આવશે. આ પ્રસંગે અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર સહિત AMCના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
સુરતમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત ઉજવણી
તો સુરતમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સરસાણા ડોમ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કર્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ જિલ્લાકક્ષાની ઉજવણી ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ની થીમ પર કેન્દ્રિત રહી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.
3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકોએ યોગ કર્યા
સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે. સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યો, જે ‘એક પૃથ્વી એક શ્વાસ’ના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે.
રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે યોગ કર્યા
વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આ યોગ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા અને યોગના પર્યાવરણીય લાભો તેમજ માનવ સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસરો પર ભાર મૂક્યો હતો. આ સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો.
વડોદરામાં પાટીલે યોગ કર્યા
વડોદરામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની, વડોદરા શહેર ભાજપ પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં યોગ ડેની ઉજવણી
વડોદરામાં અટલાદરા ખાતે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો, યુવાનો તથા હરિભક્તો યોગ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા.
રાજકોટના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં યોગ દિવસની ઉજવણી
રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે શાળા નં.94ની બાજુમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની હાજરીમાં કરવામાં આવી હતી. જ્યારે મનપાએ રેસકોર્સ સહિત 5 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમોમાં રાજકોટ સહિત આસપાસમાં આવેલા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સ્વસ્થ તેમજ સુખી જીવનશૈલી માટે યોગના મહત્વને ઉજાગર કર્યું હતું.
સાંસદ રામ મોકરીયાએ યોગ કર્યા
આ તકે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ યોગા વિશે જણાવ્યું હતું કે, પીએમ મોદીની અપીલને લઈને 190 દેશોએ યોગનું મહત્વ સ્વીકાર્યું હતું. જે બાદ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય- સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહત્ત્વનું માધ્યમ છે. યોગ માત્ર શારીરિક કસરત જ નહીં પરંતુ માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. લોકોએ 24 કલાકમાંથી ઓછામાં ઓછી અડધી કલાક યોગ કરવા જોઈએ. જેનાથી શરીર અને મન પણ સ્વસ્થ રહેશે.
આસન-પ્રાણાયામના ફાયદાઓ વિશે માહિતી અપાઈ
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરાર્થીઓ માટે વિગતવાર સામાન્ય સૂચનાઓ આપવામાં આવી હતી, જેનું પાલન કરીને નાગરિકોએ વ્યવસ્થિત રીતે ભાગ લીધો હતો. સવારે 6 કલાકે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. તેમજ આ તકે નિષ્ણાંતોની સૂચના મુજબનાં યોગા લોકોએ કર્યા હતા. કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષકોએ વિવિધ યોગાસનોનું નિદર્શન કર્યું હતું. અને ઉપસ્થિત હજારો નાગરિકોએ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ સૂર્ય નમસ્કાર, આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. દરેક આસન અને પ્રાણાયામના ફાયદાઓ વિશે પણ ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી.
માત્ર 21 જૂને નહીં પણ નિયમિત યોગા કરવાની અપીલ
બીજી તરફ મનપા દ્વારા રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ સહિતના 5 સ્થળોએ યોગા દિવસને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મનપાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રેસકોર્સ ગ્રાઉન્ડમાં પણ વિવિધ વયનાં હજારો લોકો જોડાયા હતા. નિરીક્ષકોની સૂચના અનુસાર વિવિધ આસનો નાગરિકોએ કર્યા હતા. આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા પણ 'યોગ ભગાવે રોગ'નું સૂત્ર કહી લોકોને માત્ર 21 જૂને નહીં પણ નિયમિત યોગા કરવાની અપીલ કરી હતી.