Loading...

ભૂપેન્દ્ર પટેલની સરકારના એક નિર્ણયથી ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

ગુજરાત કેબિનેટમાં ખાનગી કંપની પાસેથી વિજળી ખરીદીના બેઝ રેટમાં વધારાને લઈને ચર્ચા વચ્ચે, રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે રાજ્ય સરકાર પર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, જો સરકાર વિજળી ખરીદીના બેઝ રેટમાં વધારો મંજૂર કરશે તો ગુજરાતની જનતા પર અંદાજે 6 હજાર કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડશે.

શક્તિસિંહ ગોહિલે એવો દાવો કર્યો છે કે, મળેલી માહિતીના આધારે રાજ્ય સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને કેબિનેટ કોઈ એવો નિર્ણય ના લે જેનાથી સામાન્ય જનતા પર આ મોંધવારીના સમયમાં ભારણ વધે. તેમણે જણાવ્યું કે, સરકારના ઊર્જા વિભાગ તરફથી પણ ખાનગી કંપની જે બેઝ રેટ માંગે છે તે સ્વીકારવો યોગ્ય નહીં હોવાનું કહેવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, જો ખાનગી કંપનીને માંગ્યા મુજબનો બેઝ રેટ આપવામાં આવશે તો તેની સીધી અસર વીજળીના ખર્ચ પર પડશે અને આખરે તેનો બોજ સામાન્ય લોકો પર આવશે. ગોહિલના જણાવ્યા મુજબ, સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના અભિપ્રાયના આધારે નિર્ણય લેવાની તૈયારીમાં છે.

કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, સરકાર ખાનગી કંપનીને ફાયદો પહોંચાડે તેવો નિર્ણય લઈ શકે છે. તેમણે મુખ્યમંત્રીને ખુલ્લેઆમ કેમેરા સામે આવીને એવી સ્પષ્ટતા કરે કે, ગુજરાત સરકાર હાલ વીજળી કંપનીઓના બેઝ રેટ વધારવા અંગેનો કોઈ નિર્ણય લેવા જઈ રહી નથી. હવે આ મુદ્દે રાજ્યની રાજનીતિ ગરમાઈ છે અને કેબિનેટ બેઠકના સત્તાવાર બ્રિફિગ પર પર સૌની નજર ટકેલી છે કે તેમાં કેવી સ્પષ્ટતા કરવામાં આવે છે.

Image Gallery