Loading...

ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો!

ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને સમગ્ર રાજ્ય ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં છે. હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના નાગરિકોને આ આકરા ઉનાળામાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ યથાવત રહેશે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જ્યારે તાપમાન ઊંચું હોય અને હવામાં ભેજ ભળે ત્યારે બફારો અને ઉકળાટ ખૂબ જ વધી જાય છે. આ જ કારણ છે કે વાસ્તવિક તાપમાન કરતાં પણ લોકોને ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં પણ મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યનું સૌથી ગરમ શહેર

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 43 ડિગ્રી અને આર્થિક પાટનગર અમદાવાદમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાઈ ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતના ડીસા અને સરહદી જિલ્લા કચ્છના ભુજમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો છે.

આરોગ્ય વિભાગની સલાહ

હવામાન વિભાગની આ આગાહીને પગલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હીટ સ્ટ્રોક (લૂ લાગવી) થી બચવા માટે શરીર સદાય હાઇડ્રેટેડ રહે તે જરૂરી છે, આથી વધુ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ પાણી અથવા નાળિયેર પાણીનું સેવન કરવું હિતાવહ છે. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું જોઈએ. આગામી થોડા દિવસો સુધી ગુજરાતવાસીઓએ આ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

Image Gallery