Loading...

ભારત અને નેધરલેન્ડ વચ્ચે ઐતિહાસિક કરાર, પીએમ મોદી અને ડચ પીએમ રોબ જેટનની બેઠકમાં સંરક્ષણ, સેમિકન્ડક્ટર અને આતંકવાદ મુદ્દે મોટી ડિલ

બદલાતા વૈશ્વિક સંજોગો અને ભૌગોલિક-રાજકીય પડકારો વચ્ચે ભારત અને નેધરલેન્ડે પોતાના સંબંધોને નવી ઊંચાઈ આપતા ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વ્યૂહાત્મક ભાગીદારી) નો દરજ્જો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટન વચ્ચે યોજાયેલી બેઠક બાદ બંને દેશોએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, સેમિકન્ડક્ટર, સ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સ્પેશિયલ ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ રોડમેપ’ લોન્ચ કર્યો છે. આ સાથે ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ રોડમેપ પણ શરૂ કરાયો છે અને કુલ 17 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો સંરક્ષણ સાધનોના સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર પર પણ સાથે કામ કરશે.

વૈશ્વિક સુરક્ષા અને યુદ્ધ મુદ્દે ચર્ચા

શનિવાર સાંજની આ બેઠકમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વણસતી સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે તેનાથી વૈશ્વિક ઉર્જા સપ્લાય અને વેપાર નેટવર્ક પર ગંભીર અસર પડી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે, નેતાઓએ Strait of Hormuz માંથી જહાજોની મુક્ત અવરજવર ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો, જ્યાંથી દુનિયાનો આશરે 20 ટકા ઉર્જા સપ્લાય પસાર થાય છે. આ ઉપરાંત, બંને દેશોએ યુક્રેન-રૂસ યુદ્ધ અંગે પણ ચર્ચા કરી સંવાદ અને કૂટનીતિ દ્વારા જ ન્યાયપૂર્ણ શાંતિ સ્થાપવાનો મત રજૂ કર્યો હતો.

આર્થિક ભાગીદારી અને ભારતીયોને ફાયદો

નેધરલેન્ડ યુરોપમાં ભારતનું ખૂબ મોટું વ્યાપારી ભાગીદાર છે અને ભારતમાં ચોથું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. વર્ષ 2024-25 માં બંને દેશો વચ્ચેનો વેપાર 27.8 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે અને નેધરલેન્ડનું ‘રોટરડેમ પોર્ટ’ ભારતીય નિકાસકારો માટે યુરોપનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. બેઠકમાં ડચ સેમિકોન કોમ્પિટન્સ સેન્ટરને ભારતીય સેમિકન્ડક્ટર મિશન સાથે જોડવાની પહેલને આવકારવામાં આવી હતી. સાથે જ, બંને દેશો વચ્ચે થયેલા ‘માઇગ્રેશન અને મોબિલિટી’ કરારથી ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે નેધરલેન્ડમાં નોકરી અને અભ્યાસની તકો વધશે.

આતંકવાદ સામે કડક વલણ

નેધરલેન્ડના પીએમ રોબ જેટને એપ્રિલ 2025 માં થયેલા પહલગામ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને પૂરો સાથ આપવાની ખાતરી આપી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં બંને દેશો વચ્ચે લોકતાંત્રિક મૂલ્યો અને જવાબદાર વલણને કારણે ઘણી પ્રગતિ થઈ છે. હવે નેધરલેન્ડની નિપુણતા અને ભારતની સ્પીડ તેમજ સ્કિલ મળીને નવી ઊંચાઈઓ સર કરશે.

ભારત અને નેધરલેન્ડ વચ્ચેની આ નવી વ્યૂહાત્મક યુતિ વૈશ્વિક સ્તરે ચીન અને અન્ય આર્થિક પડકારો સામે ભારતની સ્થિતિ મજબૂત કરશે અને યુરોપ સાથે ભારતના વેપારને વેગ આપશે.

Image Gallery