ભારત અને નેધરલેન્ડ વચ્ચે ઐતિહાસિક કરાર, પીએમ મોદી અને ડચ પીએમ રોબ જેટનની બેઠકમાં સંરક્ષણ, સેમિકન્ડક્ટર અને આતંકવાદ મુદ્દે મોટી ડિલ
બદલાતા વૈશ્વિક સંજોગો અને ભૌગોલિક-રાજકીય પડકારો વચ્ચે ભારત અને નેધરલેન્ડે પોતાના સંબંધોને નવી ઊંચાઈ આપતા ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વ્યૂહાત્મક ભાગીદારી) નો દરજ્જો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટન વચ્ચે યોજાયેલી બેઠક બાદ બંને દેશોએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, સેમિકન્ડક્ટર, સ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સ્પેશિયલ ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ રોડમેપ’ લોન્ચ કર્યો છે. આ સાથે ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ રોડમેપ પણ શરૂ કરાયો છે અને કુલ 17 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો સંરક્ષણ સાધનોના સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર પર પણ સાથે કામ કરશે.
વૈશ્વિક સુરક્ષા અને યુદ્ધ મુદ્દે ચર્ચા
શનિવાર સાંજની આ બેઠકમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વણસતી સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે તેનાથી વૈશ્વિક ઉર્જા સપ્લાય અને વેપાર નેટવર્ક પર ગંભીર અસર પડી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે, નેતાઓએ Strait of Hormuz માંથી જહાજોની મુક્ત અવરજવર ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો, જ્યાંથી દુનિયાનો આશરે 20 ટકા ઉર્જા સપ્લાય પસાર થાય છે. આ ઉપરાંત, બંને દેશોએ યુક્રેન-રૂસ યુદ્ધ અંગે પણ ચર્ચા કરી સંવાદ અને કૂટનીતિ દ્વારા જ ન્યાયપૂર્ણ શાંતિ સ્થાપવાનો મત રજૂ કર્યો હતો.