Loading...

બોમ્બે HCની મંજૂરી બાદ બાંદ્રા ટર્મિનસ નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યુ બુલડોઝર, 400થી વધુ પોલીસકર્મીઓ તૈનાત!

બોમ્બે હાઈકોર્ટે 5 મેના આદેશમાં પશ્ચિમ રેલવેને ડિમોલિશન કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. પરંતુ સાથે જ 2021ના સર્વેમાં પાત્ર ગણાયેલા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના અધિકારોનું રક્ષણ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી. ગેરકાયદેસર બાંધકામો દ્વારા કબજે કરાયેલી રેલવે જમીનને ખાલી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન વિસ્તારમાં કડક સુરક્ષા કરવામાં આવી છે.

400 કર્મચારીઓ તૈનાત

અહેવાલ મુજબ મુંબઈ પોલીસ, આરપીએફ અને જીઆરપી અધિકારીઓ સહિત લગભગ 400 કર્મચારીઓને કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ ટીમો, એમ્બ્યુલન્સ અને બેરિકેડ્સ પણ ગોઠવવામાં આવ્યા છે. ઝુંબેશ દરમિયાન કોઈપણ ખલેલ ન પહોંચે તે માટે સુરક્ષા અધિકારીઓ સતર્ક છે.

કિરીટ સોમૈયાએ માન્યો રેલવે અને પોલીસનો આભાર

સ્થળ પર હાજર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ બાંદ્રા ટર્મિનસ પર બાંગ્લાદેશી ઘૂસણખોરી દૂર કરવા બદલ રેલવે અને પોલીસનો આભાર માન્યો. આ પહેલાં ગરીબ નગર રહિવાસી વેલફેર સંગઠન દ્વારા ડિમોલિશન વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવેલી હતી. અરજીમાં આરોપ મૂકાયો હતો કે 18 માર્ચના હાઈકોર્ટના અંતરિમ આદેશ છતાં અરજીમાં દર્શાવાયેલા કેટલાક માળખાઓ તોડી પાડવામાં આવ્યા હતા.

તેમાં એવા પરિવારોના ઘરો પણ સામેલ હતા, જેઓ પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ (PAPs) તરીકે પુનર્વસન માટે પાત્ર જાહેર થયા હતા. અરજીમાં વધુમાં જણાવાયું હતું કે ડિમોલિશનથી ગંભીર મુશ્કેલીઓ, માનસિક તકલીફ અને પુનર્વસન માટે સ્થળાંતરનો સામનો કરવો પડ્યો હતો. જે બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

Image Gallery