કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ, 88 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર
રાજ્યમાં કાળઝાળ ગરમી અને વરસાદની લાંબી રાહ વચ્ચે જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટતો જઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની ચિંતા વધતી જોવા મળી રહી છે. રાજ્યના લગભગ 10 જેટલા જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે, જ્યારે કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ ઘટીને માત્ર 55.24 ટકા રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પાણીની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.
કચ્છના જળાશયોમાં સૌથી ઓછું માત્ર 33 ટકા જળસ્તર
આંકડાઓ મુજબ રાજ્યના 88 જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકાથી પણ ઓછું નોંધાયું છે, જે આગામી ઉનાળાના દિવસોમાં પાણી સંકટ ઊભું કરી શકે છે. કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછું માત્ર 33.14 ટકા જળસ્તર બચ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સરેરાશ માત્ર 36.59 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે.
રાજ્યના 88 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર
ઝોન મુજબ જોવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 45.60 ટકા જળસંગ્રહ નોંધાયો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સરેરાશ 56 ટકા પાણી ઉપલબ્ધ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.40 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
રાજ્ય માટે રાહતરૂપ વાત એ છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 70.92 ટકા જળસ્તર ઉપલબ્ધ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે થોડો આધાર મળી શકે છે. જોકે જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સરકાર અને જળસંપત્તિ વિભાગ દ્વારા જળસંગ્રહ જાળવવા અને પાણીનો સાવચેત ઉપયોગ કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.