Loading...

પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ:ભાસ્કરના અહેવાલ બાદ અંતે પોલીસે કાર્યવાહી કરવી પડી, ભીનું સંકેલવાના પ્રયાસો સફળ ન થયા

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનારા મહિલા PSIને અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભોગ બનનાર ગોપાલભાઈ દરજી દ્વારા સૌ પ્રથમ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. મહિલા PSI માનવાત ભૂલ્યા હોવા છતા માર માર્યાના બીજા દિવસે ભોગ બનનારના ઘરે પહોંચી ગયા હતા અને સમાધાનના પ્રાસો હાથ ધર્યા હતા. જો કે, ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI જવાબ આપ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતા અંતે પોલીસે ચાર દિવસ બાદ મહિલા PSI સામે પગલાં લેવા પડ્યા છે.

કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુને માર માર્યો હતો અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી.

સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

મે માફી માગી છતા બાળકના પિતાએ મને ગાળો આપી- ગોપાલભાઈ ગોપાલભાઈ દરજીએ 'દિવ્ય ભાસ્કર'સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યો હતો.મેં માફી માંગી છતાં બાળકના પિતાએ મને ગાળો આપી હતી.

'બહારથી આવેલા PSIએ મને લાફા, લાતો અને લાકડી મારી' ગોપાલભાઈએ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે બહારથી એક PSI આવ્યા હતા. તેમને કોઈએ રોક્યા ન હતા. તેને મને લાફા અને લાતો મારી જેથી હું નીચે પડી ગયો હતો. ત્યારબાદ પણ તેને મને લાકડીથી ફટકાર્યો હતો. મેં પોલીસને મારી ફરિયાદ લખવા જણાવ્યું હતું. પરંતુ લખી નહોતી.

પ્રજ્ઞાચક્ષુને માર માર્યાના બીજા દિવસે સમાધાન કરવા પહોંચ્યા હતા ગોપાલભાઈ દરજીને માર માર્યા બાદ મહિલા PSI સોનલ રાઠોડ બીજા દિવસે ગોપાલભાઈના ઘરે પહોચી ગયા હતા અને સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, આ સમયે જ ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI ત્યાંથી નીકળી ગયા હતા.

મહિલા PSIએ કહ્યું હતું- ‘હું ગિલ્ટી ફીલ કરું છું’ PSI સોનલ રાઠોડે પીડિતના પરિવારજનો સમક્ષ કહ્યું કે, ઘર સુધી આવવાનું કારણ શું હોય? હું ગિલ્ટી ફીલ કરું છું એટલે. મારો દીકરો પડી ગયો અને મારો કાન સુજી ગયો. હું તો બહારગામ હતી.