'તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં...', અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET' ના પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીમાં મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પહેલા પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે હવે આ પ્રદર્શનના માર્ગમાં તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.
અભિજિત દીપકેના સરકાર પર પ્રહાર
અભિજિત દીપકેએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકારને પડકાર ફેંકતા જણાવ્યું કે, "તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, પરંતુ અમને નહીં હટાવી શકો. આ સિસ્ટમની જ ખામી છે કે જેના કારણે આજે આ 'કોકરોચ' બહાર નીકળી રહ્યા છે."
દેશમાં ધર્મની રાજનીતિ સાંખી નહીં લેવાય
જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' ના વિરોધ પ્રદર્શનમાં એકઠા થયેલા દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રેચ્ચાર કરીને હોબાળો મચાવ્યો છે. પ્રદર્શનકારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે દેશમાં ધર્મની રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે અને તેઓ આ આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ જવા દેશે નહીં. તેમણે સિસ્ટમ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "આ તો સિસ્ટમની જ ખામી છે જેના કારણે આજે આ બધા 'કોકરોચ' બહાર આવી ગયા છે." દેખાવકારોએ સ્પષ્ટ કર્યું કે ધર્મના નામે હવે વિદ્યાર્થીઓના ભાગલા પાડી શકાય નહીં અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરતા ઉમેર્યું કે, એક મંત્રીની નિષ્ફળતા અને લાપરવાહીના કારણે આજે નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.