Loading...

સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી:ભાઈએ કહ્યું- જબરદસ્તી કોઇએ ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય, માનસિક અસ્થિર હતો અગાઉ પણ ઘરેથી નીકળી ગયો હતો

સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઇકાલે(11 જૂન) ઉત્રાણ પોલીસ સ્ટેશનની નજીક આવેલી એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી પાંચ દિવસથી ગુમ 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકના ભાઈએ કહ્યું કે જબરદસ્તી કોઇએ ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય. સોસાયટીના સીસીટીવી ચેક કરો. તે માનસિક અસ્થિર હતો અગાઉ પણ એક-બે વાર ઘરેથી નીકળી ગયો હતો.

કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સીની બહાર એક વેગનઆર કાર પાર્ક કરેલી હતી. ગઇકાલે મોડી રાત્રે આ કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. શંકા જતાં લોકોએ કારની નજીક જઈને જોયું તો અંદર એક યુવકની લાશ પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે ઉત્રાણ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારમાંથી લાશને બહાર કાઢી પંચનામું કર્યું હતું. લાશ સંપૂર્ણપણે કોહવાઈ ગઈ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ મોત બે-ત્રણ દિવસ પહેલાં થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

6 જૂનથી રવિ ચૌધરી ગુમ હતો, પરિવારમાં માતમ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવક ઉત્રાણના હળપતિ વાસમાં રહેતો 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિ ગત 6 જૂનથી અચાનક ગુમ થઈ ગયો હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. પાંચ દિવસ બાદ ગુમ રવિની આ રીતે રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે યુવકની લાશ ખૂબ જ ખરાબ અને કોહવાયેલી હાલતમાં મળી હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઉત્રાણ પોલીસે લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. શંકાસ્પદ હાલતમાં મળેલી આ લાશ પાછળ અકસ્માત, આત્મહત્યા કે પછી કોઈએ તેની હત્યા કરીને લાશ કારમાં છુપાવી દીધી છે? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આસપાસના વિસ્તાર ખૂંદી નાખ્યા પણ ઘર પાસેથી જ મૃતદેહ મળ્યો આ કરુણ ઘટનામાં મૃતકના ભાઈ નિલેશ ચૌધરીએ રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી કે, 6 તારીખને શનિવારના રોજ બપોર પછી રવિ ઘરે ન પરત ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. તાપી કિનારાથી લઈને વીઆઈપી રોડ, અમરોલી અને મોટા વરાછા સુધીના તમામ વિસ્તારો પરિવારે ખૂંદી વળ્યા હતા. મૃતક રવિની માનસિક સ્થિતિ થોડી અસ્થિર હોવાને કારણે તે અગાઉ પણ એક-બે વાર ઘરેથી નીકળી ગયો હતો, પરંતુ દર વખતે પરિવાર તેને સાયણ અથવા અબ્રામા જેવા વિસ્તારોમાંથી શોધી લાવતો હતો. આ વખતે ત્રણ-ચાર દિવસ સુધી કોઈ પતો ન લાગતાં આખરે પરિવારે 11મી તારીખે સાંજે પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ ફરિયાદ અને કારમાંથી મૃતદેહ મળવાની ચોંકાવનારી ઘટના 11 તારીખે સાંજે 6 વાગ્યે પરિવાર પોલીસ ચોકીએ પહોંચ્યો ત્યારે પોલીસે તેમને 7 વાગ્યે આવવા જણાવ્યું હતું. રાત્રે 7 વાગ્યે પોલીસે ગુમશુદગીની ફરિયાદ નોંધી પરિવારને કલાક બેસાડી રાખ્યા બાદ ઘરે મોકલ્યા હતા. જોકે, ઘરે પહોંચતાની સાથે જ રાત્રે 10 વાગ્યે પોલીસનો ફોન આવ્યો કે ઓમકાર સોસાયટી પાસે પાર્ક કરેલી એક ફોર વ્હીલર ગાડીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. પરિવારે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા તે મૃતદેહ તેમના લાપતા ભાઈ રવિનો જ હોવાનું કન્ફર્મ થયું હતું, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

બંધ કારના લોક અને હત્યાની આશંકા પર ઉઠતા સવાલો મૃતકના ભાઈ નિલેશ ચૌધરીએ કારની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, રવિ ભલે નવ ધોરણ ભણેલો હતો, પરંતુ તેને કારના લોક ખોલતા આવડતું નહોતું. કાર માલિકના જણાવ્યા અનુસાર છેલ્લા બે-અઢી મહિનાથી આ ગાડી બંધ હાલતમાં એક જ જગ્યાએ પડી હતી અને તેના ત્રણ દરવાજા લોક હતા જ્યારે માત્ર એક જ લોક ખુલ્લું હતું. રાત્રે 2 વાગ્યા સુધી ગાડીની આસપાસ બેરિકેડ્સ મારેલા હતા. ભાઈની આશંકા છે કે રવિ પોતે ગાડીમાં લોક થઈ જાય તે શક્ય જ નથી, કોઈકે તેની સાથે જબરદસ્તી કરીને તેને કારની અંદર પૂરી દીધો હોવો જોઈએ.

સીસીટીવી ફૂટેજ તપાસવા અને ન્યાયની માગ પીડિત પરિવારે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવતા ઓમકાર રો-હાઉસ સોસાયટી અને આસપાસના સીસીટીવી કેમેરા તાકીદે ચેક કરવાની માગ કરી છે. પરિવારજનોએ આસપાસના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી હતી પણ રવિ પોતાના ઘરની નજીકથી જ કારમાંથી મૃત મળી આવ્યો હતો. નિલેશ ચૌધરીએ વેદના સાથે જણાવ્યું કે, જો સીસીટીવીમાં તેમનો ભાઈ પોતે ગાડીની અંદર જતો દેખાશે તો તેઓ કોઈ ફરિયાદ નહીં કરે, પરંતુ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ તેને ગાડીમાં મુકવા ગયું હશે કે જબરદસ્તી કરી હશે, તો તેને કાયદેસરની કડકમાં કડક સજા થવી જ જોઈએ. રવિ પાસે કોઈ મોબાઈલ નહોતો અને તે કોઈ મોટો ધનવાન પણ નહોતો કે કોઈ તેની દુશ્મનીમાં હત્યા કરે, જેથી આ રહસ્ય પરથી પડદો ઊંચકાવો જરૂરી છે.

નાની-નાની ખુશીઓમાં જીવતો અને સોસાયટીનો વ્હાલો રવિ પરિવારે રવિના સાદગીભર્યા સ્વભાવને યાદ કરતા જણાવ્યું કે, તે માત્ર નવ ધોરણ ભણેલો હતો અને માનસિક અસ્થિરતાને કારણે કોઈ મોટું કામ કરી શકતો નહોતો. પરંતુ તે આસપાસના લોકોના અને ઘરનો કચરો ઉપાડી આપતો હતો. આ સેવાના બદલામાં સોસાયટીના લોકો રાજીખુશીથી તેને જે 10, 20 કે 30 રૂપિયા આપતા, તેનાથી જ તે મનથી અત્યંત ખુશ રહેતો હતો. આવા નિર્દોષ ભાઈના રહસ્યમય મોતે આખા પરિવારને શોકમાં ડુબાડી દીધો છે.

Image Gallery