રાજ્યસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો, અનેક રાજ્યોમાં કોંગ્રેસનો હાથ ખાલી; જુઓ ક્યાં કોણ જીત્યું
રાજ્યસભા ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ મોટી સફળતા મેળવી લીધી છે. ગઠબંધનના 15થી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મધ્ય પ્રદેશની ત્રણેય બેઠકો પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધી છે. બીજી તરફ, વિપક્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ બિનહરીફ ચૂંટાયા છે. હવે બાકી રહેલી બેઠકો માટે આગામી 18 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં અત્યાર સુધીના આંકડા અનુસાર NDAએ 18 બેઠકો પર કબજો જમાવ્યો છે, જ્યારે ઇન્ડિયા (INDIA) ગઠબંધનને 5 બેઠકો પર જીત મળી છે.
ઝારખંડ અને મિઝોરમમાં જામશે ખરાખરીનો જંગ
આગામી 18 જૂનના રોજ ઝારખંડની બે અને મિઝોરમની એક બેઠક પર મતદાન થવાનું છે, જ્યાં ખૂબ જ રસપ્રદ અને કટોકટીનો મુકાબલો જોવા મળી શકે છે. ગુરુવારે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો તેમજ મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુની એક-એક બેઠક પર પેટાચૂંટણી માટેના નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. નિર્વિરોધ ચૂંટાયેલા તમામ સભ્યોને ચૂંટણી અધિકારીઓ દ્વારા જીતનું પ્રમાણપત્ર એનાયત કરી દેવામાં આવ્યું છે.
ઝારખંડની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં જેએમએમના બૈદ્યનાથ રામ, કોંગ્રેસના પ્રણવ ઝા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર તેમજ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી સામેલ છે.
ઝારખંડ વિધાનસભામાં ઇન્ડિયા ગઠબંધન પાસે 56 ધારાસભ્યોનું સંખ્યાબળ છે અને જીતવા માટે પ્રત્યેક ઉમેદવારને 28 પ્રથમ અગ્રતાના મતોની જરૂર પડશે. જ્યારે ભાજપ પાસે 21 ધારાસભ્યો છે અને તેમને જેડીયુ, એલજેપી (રામવિલાસ) તેમજ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનના એક-એક ધારાસભ્યનું સમર્થન છે. મિઝોરમની એકમાત્ર બેઠક માટે સત્તારૂઢ ઝોરમ પીપલ્સ મુવમેન્ટ (JPM)ના પ્રવક્તા કે. લાલતલુઆંગકિમા અને મુખ્ય વિપક્ષી પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના ઝોથાનસાંગી હમાર વચ્ચે સીધી ટક્કર છે.
ગુજરાતમાં ભાજપનો ક્લીન સ્વીપ: કોંગ્રેસના સૂપડા સાફ
ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર સત્તારૂઢ ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. વિધાનસભામાં ભાજપના ભારે બહુમત અને કોંગ્રેસની નબળી સ્થિતિને કારણે અહીં ચૂંટણી યોજવાની નોબત જ આવી નહોતી. ભાજપ તરફથી રાજુભાઈ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશભાઈ રાઠવા અને જિતેન્દ્ર કંજારીયા ઉચ્ચ સદનમાં પહોંચ્યા છે.
આ પરિણામો સાથે જ એક મોટો રાજકીય ઇતિહાસ સર્જાયો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થતાંની સાથે જ હવે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ પ્રતિનિધિ બચ્યો નથી. ભાજપે આ બેઠકો પર આદિવાસી અને ગ્રામીણ ચહેરાઓને પ્રાધાન્ય આપીને સોશિયલ એન્જિનિયરિંગ સાધવાનો સફળ પ્રયાસ કર્યો છે.
મધ્ય પ્રદેશમાં મોટો ખેલ: કોંગ્રેસ ખાલી હાથ, ભાજપ વિજેતા
મધ્ય પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે મોટો ઉલટફેર કરીને ત્રણેય બેઠકો પોતાના નામે કરી લીધી છે. ભાજપના ઉમેદવારો તરુણ ચુઘ, રજનીશ અગ્રવાલ અને મહેશ કેવટને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન પત્ર ટેકનિકલ કારણોસર રદ થઈ જતાં ચૂંટણીનો અંત આવી ગયો હતો અને કોંગ્રેસે ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. જોકે, કોંગ્રેસે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં આ પરિણામ ભાજપ માટે એક બહુ મોટી વ્યૂહાત્મક જીત સમાન છે.
કર્ણાટકમાં કોંગ્રેસે બતાવી તાકાત: ખરગે ફરી સંસદમાં
કર્ણાટકની ચાર બેઠકો પર પણ તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. વિધાનસભામાં મજબૂત બહુમતી ધરાવતી કોંગ્રેસે પોતાની પકડ જાળવી રાખીને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને પ્રવક્તા પવન ખેડાને ફરીથી રાજ્યસભામાં મોકલ્યા છે. જ્યારે ભાજપના પ્રોફેસર એમ. નાગરાજ પણ ઉચ્ચ સદનમાં પહોંચવામાં સફળ રહ્યા છે. આ બેઠકો ખાલી થવા પાછળનું કારણ એ છે કે વર્તમાન સભ્યો ઇરન્ના કડાડી, નારાયણ કોરાગપ્પા (બંને ભાજપ), મલ્લિકાર્જુન ખરગે (કોંગ્રેસ) અને જેડીએસ નેતા એચ.ડી. દેવેગૌડાનો કાર્યકાળ 25 જૂને પૂરો થઈ રહ્યો છે. આ ચૂંટણી સાથે જ પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાની પાંચ દાયકા કરતાં પણ વધુ લાંબી સંસદીય સફરનો અંત આવશે.
આંધ્ર પ્રદેશમાં NDAનો દબદબો અને તેલંગાણા-તમિલનાડુની સ્થિતિ
આંધ્ર પ્રદેશની ચારેય રાજ્યસભા બેઠકો પર NDAના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. સત્તારૂઢ ટીડીપીના સના સતીશ બાબુ, ભાષ્યમ રામકૃષ્ણ અને ચિંતકાયાલા વિજય તેમજ જનસેના પાર્ટીના લિંગમનેની રમેશ સંસદના ઉચ્ચ સદનમાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણની રાજકીય તાકાતના કારણે વિપક્ષી વાયએસઆર કોંગ્રેસ કોઈ પડકાર ઉભો કરી શકી નથી.
ખાસ વાત એ છે કે જનસેના પાર્ટીને ઇતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળ્યું છે. બીજી તરફ, તમિલનાડુમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ ચક્રવર્તી નિર્વિરોધ ચૂંટાયા છે, જેમને સત્તારૂઢ તમિલગા વેત્રી કષગમ (TVK)નું સમર્થન મળ્યું હતું. આ બેઠક અન્નાદ્રમુખના નેતા સી. ષણમુગમના રાજીનામા બાદ ખાલી પડી હતી.
રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશાના પરિણામો
રાજસ્થાનમાં ત્રણેય બેઠકો પર ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપના વરિષ્ઠ નેતા સતીશ પૂનિયા અને અલકા ગુર્જર વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસ પોતાના વરિષ્ઠ નેતા નીરજ ડાંગીને ફરીથી રાજ્યસભામાં મોકલવામાં સફળ રહી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો, સુનેત્રા પવારના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર મહાયુતિ ગઠબંધન સામે વિપક્ષે કોઈ ઉમેદવાર ન ઉતારતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાજેન્દ્ર જૈન બિનહરીફ ચૂંટાયા છે. ઓડિશાની પેટાચૂંટણીમાં તાજેતરમાં જ બીજેડી છોડીને ભાજપમાં સામેલ થયેલા દેવાશીષ સામંતરાય એકમાત્ર ઉમેદવાર હોવાથી તેમને પણ નિર્વિરોધ વિજેતા જાહેર કરાયા છે.
પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ અને સહયોગીઓનું એકચક્રી શાસન
પૂર્વોત્તર ભારતમાં ભાજપે પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી દીધી છે:
મેઘાલય: નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મુખ્યમંત્રી કોનરાડ સંગમાના ભાઈ જેમ્સ કે. સંગમા સામે વિપક્ષે કોઈ ઉમેદવાર ન ઉતારતા તેઓ બિનહરીફ વિજેતા બન્યા છે.
મણિપુર: રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અધિકારીમાયુમ શારદા દેવી નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે.
અરુણાચલ પ્રદેશ: ભાજપના વરિષ્ઠ નેતા તાઈ તાગાક સામે કોઈ હરીફ ન હોવાથી તેઓ પણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.