ગાંધીનગરમાં આંગણવાડીની 2500થી વધુ મહિલાની આક્રોશ રેલી:હાથમાં બેનર સાથે કહ્યું-જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણીત છે અને તે વિષયો પર સરકારના જુદા-જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી. જેના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી 2500 મહિલાઓએ હાથમાં બેનરો લઇને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી. બાદમાં સેકટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી હતી. એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ સચિવને આવેદન પત્ર આપવામાં આવશે.
આ મહિલાઓએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમજ આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રેલી સાથે ધરણા પ્રદર્શન આંગણવાડી બહેનોનું કહેવું છે કે, તેમના પર વધારાની કામગીરીનું ભારણ અને આધુનિક સાધનોની અછતને કારણે તેમની પ્રાથમિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ મૂકવાનો હેતુ છે. આ ઉપરાંત, FRSમાં સ્માર્ટફોનની અછત અને તેના સાથે જોડાયેલી તકનીકી સમસ્યાઓને લઈને પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારતીય કર્મચારી મહા સંઘના નેજા હેઠળ આ સત્યાગ્રહ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે. જેમાં રાજ્યભરની આંગણવાડી કર્મચારીઓ જોડાશે.
હાઈકોર્ટના ચુકાદાના પાલનનો મુખ્ય મુદ્દો ગુજરાતની આંગણવાડી બહેનો અને સહાયકોના હકો અને સમાનતાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જે 2 ઓગસ્ટ, 2024ના રોજ પસાર થયો હતો અને 30 ઓક્ટોબર, 2024ના રોજ પોર્ટલ પર અપલોડ થયો હતો. આ ચુકાદા દ્વારા આંગણવાડી કર્મચારીઓને સ્થાયી સરકારી નોકરીના હકદાર તરીકે ઓળખવામાં આવ્યા છે, જેનાથી તેમની લાંબા સમયથી ચાલતી માંગણીઓને મજબૂતી મળી છે. હાઇકોર્ટે સરકારોને આ નીતિ 6 મહિનાની અંદર (જે 2 ફેબ્રુઆરી, 2025 સુધી) ઘડવાનો આદેશ આપ્યો હતો, જેના આધારે આંગણવાડી કર્મચારીઓની સ્થિતિમાં સુધારો થઈ શકે. પરંતુ, આ ચુકાદાનું પાલન ન થવા પર આજે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.
સરકારને તેમની સેવા શરતો સુધારવા માટે સૂચના આપી હતી આ પહેલાં સુપ્રીમ કોર્ટે 25 એપ્રિલ, 2022ના રોજ મનીબેન મગનભાઈ ભારીયા વિ.ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઑફિસર, દાહોદ કેસમાં ગ્રેચ્યુઇટી એક્ટ, 1972ને લાગુ કરવાનો ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી કર્મચારીઓ અને સહાયકોને ગ્રેચ્યુઇટીનો હક મળ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તેમના ઓછા પગાર અને મુશ્કેલીઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને તેમની સેવા શરતો સુધારવા માટે સૂચના આપી હતી.