માત્ર 30 વર્ષની વયે અભિનેત્રી સંચિતાએ લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ 'છાવા'માં ભજવ્યો હતો અગત્યનો રોલ
ટીવી જગતની જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેનું 14 જૂનના રોજ મુંબઈમાં નિધન થયું છે. 30 વર્ષની અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કુમકુમ ભાગ્ય શોથી જાણીતી થઈ હતી અભિનેત્રી સંચિતા
સંચિતા ઉગલે મનોરંજન ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી હતી. તેણે ટેલિવિઝન અને ફિલ્મોમાં મહત્ત્વના કામ કર્યા હતા. સંચિતા લોકપ્રિય શો 'કુમકુમ ભાગ્ય'માં 'દિયા ટંડન'ના પાત્રથી ઘરઘરમાં જાણીતી બની હતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, આ શો તેમના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો, જેનાથી તેમને ઓળખ અને અભિનયમાં આત્મવિશ્વાસ મળ્યો હતો.
ટીવી સ્ક્રીન પર સોરાબ બેદી સાથે જમાવ્યું આકર્ષણ
આ સિવાય સંચિતા 'વાગલે કી દુનિયા'માં રુચિતા જેટલીના પાત્રમાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે 'દિલવાલી દુલ્હા લે જાયેગી'માં સોરાબ બેદી સાથે લીડ રોલ 'સુફૂન' તરીકે કર્યો હતો. આ શોએ તેને વ્યાપક લોકપ્રિયતા અપાવી હતી. ટીવી ઉપરાંત, સંચિતાએ વિકી કૌશલની ફિલ્મ 'છાવા'માં 'તારાબાઈ'નું પાત્ર ભજવીને મોટા પડદા પર પણ પોતાની છાપ છોડી હતી.
આ દુ:ખદ ઘટનાના થોડા સમય પહેલા જ સંચિતાએ સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી અને એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેના આકસ્મિક નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.