ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. રેત ખનન વ્યવસાય સાથે જોડાયેલા બે જૂથો વચ્ચે થયેલા વિવાદમાં ભાજપના નેતા ભરત સિંહ સહિત ૩ લોકોને ફોર્ચ્યુનર કારની અંદર જીવતા સળગાવીને મારી નાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર છે. પોલીસે FIR નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
છત્તીસગઢ પોલીસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, કોરિયા જિલ્લાની સોનહત તહસીલના કટગોડી ગામમાં મંગળવારે રાત્રે ખનનના વ્યવસાયને લઈને થયેલા વિવાદમાં એક ગ્રુપે કથિત રીતે કેટલાક લોકો પર હુમલો કરી દીધો હતો, જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક લોકો બે અલગ-અલગ વાહનો એક ટોયોટા ફોર્ચ્યુનર SUV અને એક સ્કોડા સેડાનમાં સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે વિરોધી જૂથના લોકોએ કથિત રીતે તેમના પર હુમલો કરી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ ફોર્ચ્યુનરને એક ટીપર ટ્રકથી ઘણી વખત ટક્કર મારી હતી, જેના કારણે કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના દરવાજા જામ થઈ ગયા હતા. આના લીધે તેમાં સવાર લોકો બહાર નહોતા નીકળી શક્યા અને બાદમાં કારમાં આગ લાગી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે, જે લોકો ગાડીની બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમના પર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વાહનમાં સવાર લોકોમાંથી એક ભરત સિંહ (60) જીવતા સળગી ગયા હતા, જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
હુમલાખોરોએ એક સ્કોડા કારને પણ નિશાન બનાવી
અધિકારીઓએ જણાવ્યું કે, 'હુમલાખોરોએ એક સ્કોડા કારને પણ નિશાન બનાવી હતી અને તેમાં સવાર બે લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલોને પહેલા બૈકુંઠપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારા ઈલાજ માટે અંબિકાપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.'
આ બે લોકોના પણ મોત
અધિકારીઓએ આગળ જણાવ્યું કે, સ્કોડા કારમાં સવાર વીરેન્દ્ર પ્રતાપ સિંહ (32) પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમનું અંબિકાપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ફોર્ચ્યુનરમાં સવાર અન્ય એક વ્યક્તિ નાગેન્દ્ર સિંહ (53) લગભગ 80% જેટલા દાઝી ગયા હતા, જેમનું સારવાર અર્થે રાયપુર લઈ જતી વખતે મોત થઈ ગયુ છે. અન્ય બે ઘાયલોને વધુ સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. આ ઘટના મામલે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય શંકાસ્પદોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જૂની અદાવતનું પરિણામ
અધિકારીઓએ જણાવ્યું કે, 'પ્રાથમિક માહિતી પ્રમાણે આ હિંસા રેતી ખનનના વ્યવસાયને લઈને ભરત સિંહ અને મનોજ ત્રિપાઠીના પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી અદાવતનું પરિણામ છે. બંને પરિવારો મૂળ રીતે કટગોડીને અડીને આવેલા નગોઈ ગામના રહેવાસી છે. ભરત સિંહનો પરિવાર હાલમાં બૈકુંઠપુરમાં રહે છે, પરંતુ તેઓ કટગોડીમાં રેતી ખનન અને પથ્થર તોડવાનો વ્યવસાય કરે છે.'હિંસક અથડામણ
અધિકારીઓએ જણાવ્યું કે, 'મોડી રાત્રે ફોન પર થયેલી વાતચીત બાદ ભરત સિંહ અને તેમના સાથીઓ કથિત રીતે વિરોધી જૂથના સભ્યોને મળવા ગયા હતા, ત્યારબાદ આ અથડામણ હિંસક બની ગઈ હતી.' કેટલાક પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે હુમલાખોરોએ ફોર્ચ્યુનર પર પેટ્રોલ છાંટીને તેમાં આગ ચાંપી દીધી હતી. જો કે, આ વાતની હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, કારણ કે હુમલા દરમિયાન વાહન એક વીજળીના થાંભલા સાથે પણ અથડાયું હતું.
ફોરેન્સિક નિષ્ણાતો આ બાબતની તપાસ કરી રહ્યા છે કે કારમાં આગ પેટ્રોલ છાંટીને જાણીજોઈને લગાડવામાં આવી હતી કે પછી વીજળીના થાંભલા સાથે અથડાવાને કારણે લાગી હતી.
ઘટનાની CBI તપાસની માગ
આ વચ્ચે ક્ષત્રિય સમુદાય અને અન્ય સમુદાયના લોકોએ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયને એક આવેદનપત્ર સોંપ્યું છે, જેમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) તપાસની માગ કરી છે. ક્ષત્રિય સમુદાયના એક પ્રતિનિધિ રાજેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો છે કે, 'આ એક પૂર્વયોજિત હત્યાનું કાવતરું હતું. અમારા સંબંધીઓને સમાધાનના બહાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 25 થી 30 લોકોએ હુમલો કર્યો હતો. મેં મારા 65 વર્ષના જીવનમાં છત્તીસગઢમાં આટલો ભયાનક ગુનો ક્યારેય નથી જોયો.'
આ પણ વાંચો: આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે
તેમણે દાવો કર્યો કે ગાડીમાં પેટ્રોલ છાંટ્યા બાદ ભરત સિંહ જીવતા સળગી ગયા હતા અને આરોપ લગાવ્યો કે આગની લપેટોમાં ઘેરાયેલા અન્ય એક પીડિત નાગેન્દ્ર સિંહ જ્યારે જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપીઓને બક્ષવામાં નહીં આવે: મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય
રાયપુરમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે પત્રકારોને કહ્યું કે, પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં.
કાળજુ કંપાવનારી ઘટના: કોંગ્રેસ
આ વચ્ચે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દીપક બૈજે આ ઘટનાને કાળજુ કંપાવનારી ઘટના ગણાવી અને આરોપ લગાવ્યો કે, પીડિત અને આરોપી બંને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. બૈજે આરોપ લગાવ્યો કે, 'છત્તીસગઢમાં રેતી માફિયાઓ સરકારી પ્રોત્સાહન હેઠળ કામ કરી રહ્યા છે. ભાજપના નેતાઓના સંરક્ષણમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. ભરત સિંહ ભાજપના નેતા હતા અને હુમલાના આરોપીઓ પણ ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપના નેતાઓ ગેરકાયદે ખનનને લઈને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા છે.'