NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું
: NEET UG 2026ની ફરીથી યોજાનારી પરીક્ષાના ઠીક પહેલા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવેલા એડમિટ કાર્ડમાં એક મોટી ખામીના કારણે નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે છેક સંયુક્ત આરબ અમીરાત (UAE)નું 'અબુ ધાબી' ફાળવી દેવામાં આવ્યું છે. 21 જૂને યોજાનારી આ રિ-નીટ પરીક્ષા પહેલા બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા સહિત સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે.
વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, સેન્ટર જોઈને રડી પડ્યો
માહિતી અનુસાર, અબ્દુલ્લા મોહમ્મદ તાલિબ નામના આ વિદ્યાર્થીએ નાગપુરથી પરીક્ષા માટે અરજી કરી હતી અને તેને આશા હતી કે દેશમાં જ કોઈ સેન્ટર મળશે. પરંતુ જ્યારે તેણે સત્તાવાર વેબસાઇટ પરથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેમાં ભારતને બદલે અબુ ધાબી સ્થિત એક 'ઇન્ડિયન સ્કૂલ'નું સરનામું લખેલું હતું. આ વિદ્યાર્થી માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની પાસે પાસપોર્ટ જ નથી, જેના કારણે વિદેશ જઈને પરીક્ષા આપવી તેના માટે અશક્ય બની ગઈ છે. આ એડમિટ કાર્ડનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ ભારે વાઇરલ થઈ રહ્યો છે.
NTAએ ભૂલ સ્વીકારી, સુધારો કરવાનું આપ્યું આશ્વાસન
આ મામલો મીડિયામાં આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, NTAએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને જણાવ્યું છે કે આ એક 'ટેક્નિકલ ખામી'ના કારણે થયું છે. એજન્સીએ વિદ્યાર્થીના પરિવારને ખાતરી આપી છે કે આ બાબતે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવશે અને વિદ્યાર્થીને સાચા પરીક્ષા કેન્દ્ર સાથેનું નવું સુધારેલું એડમિટ કાર્ડ આપવામાં આવશે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને NTA તરફથી એક ઈમેઈલ પણ મળ્યો છે, જેમાં સાંજ સુધીમાં આ ભૂલ સુધારી દેવાનું આશ્વાસન અપાયું છે.
21 જૂને યોજાશે પરીક્ષા: આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
રિ-નીટ યુજી 2026ની પરીક્ષા 21 જૂનના રોજ આયોજિત થવા જઈ રહી છે. આ પરીક્ષા પેન-પેપર મોડમાં બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. તમામ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પોતાનું એડમિટ કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો ફરજિયાતપણે સાથે રાખવાના રહેશે. એજન્સી દ્વારા ઉમેદવારોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે જો તેમના એડમિટ કાર્ડમાં વ્યક્તિગત માહિતી, ફોટો કે પરીક્ષા કેન્દ્રને લગતી કોઈ પણ વિસંગતતા જણાય, તો તેઓએ તરત જ સત્તાવાર રીતે તેની ફરિયાદ નોંધાવવી જોઈએ.