ગુજરાત સરકારના 18 અધિકારીઓની IASએ તરીકે બઢતી:આર.એન. કુચારા અને આર.પી પટેલ સહિતના અધિકારીઓને પ્રમોશન, હાલ પ્રોબેશન પર નિયુક્ત; જુઓ લિસ્ટ
ગુજરાત રાજ્યની વહીવટી સેવાના (State Civil Service) કુલ 18 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી આપવાનો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા 25 જૂન 2026ના રોજ આ અંગે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
સિલેક્ટ લિસ્ટ-2025માંથી 17 અધિકારીઓને IASમાં નિયુક્ત નોટિફિકેશન મુજબ વર્ષ 2025 દરમિયાન સર્જાયેલી ખાલી જગ્યાઓ સામે તૈયાર કરાયેલી સિલેક્ટ લિસ્ટ-2025માંથી 17 અધિકારીઓને IASમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, અમદાવાદ બેન્ચના ટ્રિબ્યુનલના આદેશના પાલનરૂપે સિલેક્ટ લિસ્ટ-2024 (SCS-Addition) માંથી વધુ એક અધિકારીને પણ IAS કેડરમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રોબેશન પર રહેશે અધિકારીઓ કેન્દ્ર સરકારના હુકમ અનુસાર તમામ અધિકારીઓને હાલ પ્રોબેશન પર IAS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી છે.
કોર્ટના ચુકાદાને આધીન રહેશે નિયુક્તિ ગેઝેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓ (SCA)ના અંતિમ ચુકાદાને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઈ શકે છે.
ગુજરાતના વહીવટી તંત્રને મળશે અનુભવનો લાભ રાજ્ય વહીવટી સેવામાં લાંબા સમયથી કામગીરી બજાવતા અધિકારીઓને IASમાં બઢતી મળતા ગુજરાતના વહીવટી તંત્રને અનુભવી અધિકારીઓનો વધુ વ્યાપક ઉપયોગ મળશે. આ અધિકારીઓ હવે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચસ્તરીય વહીવટી પદો પર કામગીરી માટે પાત્ર બનશે.
રાજ્યમાં ખાલી IASની જગ્યાઓ પર નિમણૂકનો માર્ગ મોકળો બન્યો ગુજરાતમાં IAS અધિકારીઓની અછતને કારણે હાલમાં અનેક મહત્વની વહીવટી પોસ્ટો વધારાના ચાર્જથી ચાલે છે. વહીવટી વર્તુળોના અંદાજ મુજબ જિલ્લા, કોર્પોરેશન, વિકાસ સત્તામંડળો અને વિભાગીય કચેરીઓ સહિત આશરે 15થી 25 જેટલી જગ્યાઓ પર નિયમિત IASના બદલે વધારાનો ચાર્જ અપાયો છે. હવે રાજ્ય વહીવટી સેવાના 18 અધિકારીઓને IAS તરીકે બઢતી મળતાં આવી કેટલીક જગ્યાઓ પર નિયમિત નિમણૂકનો માર્ગ મોકળો બનશે.
અનુભવી પ્રમોટી IAS અધિકારીઓની ઉપલબ્ધતા વધવાથી કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિભાગીય વડા જેવી જવાબદારીઓ વધુ અસરકારક રીતે સંભાળી શકાશે અને વહીવટી તંત્રમાં સ્થિરતા આવવાની શક્યતા છે.