હિમાચલના સિમલામાં વાદળ ફાટ્યું, પૂર આવ્યું:યુપીમાં નદીઓમાં પૂર, 360 ઘરો ધરાશાયી
હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બુધવારે રાત્રે 10:15 વાગ્યે સિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે નોગલી નાળામાં પૂર આવ્યું છે.
બુધવારે, મંડીના દ્વાડામાં ચંદીગઢ-મનાલી ફોરલેનના ફ્લાયઓવર પર ભૂસ્ખલનથી તિરાડો પડી ગઈ હતી. રાજ્યમાં મંડી-મનાલી અને ચંદીગઢ-સિમલા ફોરલેન સહીત 533 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
યુપીમાં સતત વરસાદને કારણે નદીઓમાં પૂર છે. પ્રયાગરાજ, વારાણસી સહિત 24 જિલ્લાઓના 1,245 ગામો પૂરની ઝપેટમાં છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં 360 ઘરો ધરાશાયી થયા છે. છેલ્લા 2 દિવસમાં પૂર અને વરસાદ સંબંધિત અકસ્માતોમાં 16 લોકોના મોત થયા છે.
બુધવારે, ફર્રુખાબાદના પંખિયન ગામમાં એક ઘર 10 સેકન્ડમાં ગંગા નદીમાં સમાઈ ગયું. લખીમપુર ખીરીમાં શારદા નદી પૂરમાં છે. અયોધ્યામાં સરયુ નદીનું જળસ્તર ભયજનક સ્તરથી 2 સેમી ઉપર પહોંચી ગયું છે. 48 ગામોમાં પૂરનો ભય છે.
બિહારમાં ગંગા અને સોન નદીઓ પૂરની લહેરથી ભરાઈ ગઈ છે. રાજ્યના ઘણા ગામડાઓ ડૂબી ગયા છે. પટણામાં ગંગા ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. પટણા શહેરના ભદ્રઘાટ અને મહાવીર ઘાટમાં સર્વિસ લેન પર ગંગાનું પાણી 2 ફૂટ સુધી પહોંચી ગયું છે.