રાજકોટમાં 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા:નિર્લિપ્ત રાયની 20 ટીમે ડ્રોનથી મોટરસાયકલ શોધી 10 દિવસમાં કેસ ઉકેલ્યો, આરોપીઓને MPમાંથી દબોચી ભોં ભેગા કર્યા
રાજકોટ જિલ્લાના શાપરના જુના રાજવી પરિવારના જિતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલી 2.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસ ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી 76.86 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર પાંચ આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીક રહેતા બનસિંઘ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ(જાંબુઆ), દિનેશ સેતાન પરમાર અને સેતાન દિવાનની ધરપકડ કરી છે. જો કે હજુ 5 જેટલા આરોપીઓ ફરાર છે. 2.49 કરોડની લૂંટમાં 2.47 કરોડ રોકડ, 2 લાખના સોનાના દાગીના અને 10,000ની બાર બોરની રાઇફલનો સમાવેશ થાય છે.
લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ દ્વારા મુદ્દામાલની ભાગબટાઈ કરી લેવામાં આવી હતી. જેમાં પકડાયેલ ત્રણ આરોપીઓ પાસેથી 43.18 લાખ રોકડ, 21.22 લાખના ઘરેણાં તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર, બોલેરો કાર, લૂંટમાં ગયેલ રાયફલ સહીત કુલ 76.86 લાખનો મુદામાલ રિકવર કરી મુખ્ય આરોપી સહીત ફરાર વધુ 5 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ ડ્રોનથી મોટરસાયકલ શોધી આરોપી સુધી પહોંચી આરોપીઓના સબંધી અગાઉ શાપરમાં રહેતા હતા. જેથી વૃદ્ધ એકલા રહેતા હોવાની અને ઘરમાં રોકડ રકમ હોવાની માહિતીના આધારે આ લૂંટને અંજામ આપ્યો હતો. ત્રણ મોટરસાયકલ ચોરી કરીને લૂંટ બાદ તેના પર નાસી છૂટ્યા હતા. આ મોટરસાયકલો રાજકોટ પોલીસે ડ્રોનથી શોધી કાઢ્યા હતા. તેમજ ટાવર ડમ્પમાંથી શંકાસ્પદ નંબર પણ મળ્યા હતા. જેની ઓળખ કરવામાં આવી હતી. ત્યાર બાદ આખો કેસ ઉકેલી લીધો હતો.
પોલીસે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં અલગ અલગ 20 ટીમ બનાવી કામગીરી વહેંચીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને ડ્રોન કેમેરાથી કરેલી તપાસ, CCTV ફૂટેજ અને મોબાઈલ ટાવર ડમ્પ લોકેશન સહીત ટેક્નિકલ પુરાવાથી આરોપીને પકડવા સફળતા મળી છે.
પોલીસની 20 ટીમે દાહોદ-ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં ભૂતકાળમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગની તપાસમાં દોડી ગઇ હતી અને તેની સંડોવણી અંગે તપાસ કરી હતી. ત્યાર બાદ બાતમીના આધારે ત્રણ શખ્સને દબોચી લેવામાં આવ્યા છે.
.

બાર બોરની રાઇફલ લૂંટી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, ગત 19 અને 20 જૂન 2026ના રોજ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના રાજવી પરિવારના સભ્ય જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં લૂંટ થઈ હતી. જેમાં લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને બંધક બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે સોના ચાંદીના ઘરેણાં અને એક લાયસન્સ વાળી બાર બોરની રાઇફલ લૂંટી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.
સીસીટીવી જોવા એક ટીમ કામ કરી રહી હતી, એક ટીમ લૂંટ કરી બાદ સમયના સીસીટીવી તપાસ કરી રહી હતી, એક ટીમ મોબાઈલ ડમ્પ લોકેશન પર ટેક્નિકલ તપાસ કરી રહી હતી, એક ટીમ અગાઉના રીઢા આરોપીઓ અંગે તપાસ કરી રહી હતી. ટેક્નિકલ માહિતી મળતા આરોપીઓના લોકેશન સુધી પહોંચવા ટીમ રવાના કરવામાં આવી હતી. આમ પૂરતા ક્લિયર સીસીટીવી લૂંટના બનાવ સ્થળ નજીક ન હોવાથી અને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસ માટે આ ખુબ પડકા જનક કેસ હતો.
આરોપીઓની ક્રાઇમ કુંડળી પોલીસ તપાસમાં પકડાયેલ આરોપીઓ પૈકી બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ વિરુધ્ધ અગાઉ મધ્યપ્રદેશના જાંબુવા અને આઝમેરા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને લૂંટની કોશિષના બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું તેમજ દાહોદ ગરબાડાના સેતાન દીવાન અમલિયાર વિરુધ્ધ પ્રોહીબીશનના 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને દિનેશ સેતાન પરમાર વિરુધ્ધ પ્રોહીબીશનના બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર આરોપીઓમાં કલમસીંગ ઉર્ફે કમલસીંગ સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડીયા સિંગાડ, મહોબત, સુલસુલા બામણીયા અને વિઝન માવીનો સમાવેશ થાય છે જે તમામ મધ્યપ્રદેશના વતની છે જે પૈકી મુખ્ય આરોપી કલમસિંગ વિરુદ્ધ લૂંટ અને લૂંટની કોશિશ અંગે બે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

પત્ની હોસ્પિટલમાં હતી ત્યારે બનસિંગને દિનેશનો સંપર્ક થયો ને પ્લાન ઘડ્યો આરોપીઓની પૂછપરછ સામે આવ્યું હતું કે, પકડાયેલ આરોપી બનસિંગની પત્ની હોસ્પિટલમાં દાખલ હતી આ દરમિયાન બનસિંગની ઓળખાણ દિનેશ સાથે થઇ હતી તેઓ બન્ને એક બીજા સાથે છેલ્લા દોઢ બે મહિનાથી પરિચયમાં હતા. આરોપીઓ મધ્યપ્રદેશના વતની છે અને તેમના ઘણા પરિચિત લોકો શાપર વેરાવળ વિસ્તારમાં મજૂરી કામ કરતા હોવાથી શાપર વેરાવળ વિસ્તારથી પરિચિત હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે લૂંટ માટે ટીપ કોના દ્વારા આપવામાં આવી તે અંગે હજુ સુધી પોલીસન માહિતી મળી નથી જેમાં મુખ્ય આરોપી કલમસીંગ ઉર્ફે કમલસીંગ પકડાયા બાદ લૂંટ અંગે ટીપ કોને આપી તે અંગે ખુલાસો થતા તેની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કેવી રીતે અને ક્યારે લૂંટના ગુનાને આપ્યો અંજામ પોલીસના જણાવ્યા મુજબ આરોપી કલમસીંગ અને બનસીંગ દ્વારા લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો આ પછી આરોપી બનસીંગ દ્વારા દિનેશની બોલેરો કાર ભાડે કરવામાં આવી હતી જેમાં ડ્રાઇવર તરીકે સેતાનને સાથે લેવામાં આવ્યો હતો. આ પછી તમામ 8 આરોપી બોલેરો કારમાં ગુજરાતમાં આવી લૂંટના આગલા દિવસે રાજકોટ જિલ્લાના શાપર ખાતે આવી સ્થળ પર રેકી કરી હતી આ પછી તમામ આરોપીઓ પરત અન્ય નજીકના જિલ્લામાં રોકાયા હતા અને બીજા દિવસે એટલે કે લૂંટના દિવસે 19 તારીખે પ્રથમ 3 આરોપી કલમસીંગ, સુલસુલા અને વિઝન સવારથી શાપર આવી ગયા હતા અને દિવસ દરમિયાન આસપાસના વિસ્તારની રેકી કરી હતી જયારે બાકીના 5 આરોપીઓ રાત્રે શાપર આવ્યા હતા જે પૈકી દિનેશ અને સેતાન બોલેરો કાર લઇ પરત રાજકોટ અમદાવાદ હાઇવે પર એરપોર્ટ નજીક ઉભા રહી ગયા હતા.
રાત્રીના સમયે ત્રણ આરોપીઓ કરણસીંગ, મહોબત અને મહોબત શાપરમાં એક હોટલ પાસે બેઠા હતા જ્યાં સામે બે બાઈક પડ્યા હતા જેમને ચોરી કરવા માટે પ્લાન બનાવ્યો હતો. આ ગુનામાં આરોપીઓએ બે બાઈક વાહન ચોરીને અંજામ આપ્યો હતો. અને પ્લાન મુજબ રાત્રીના સમયે જીતેન્દ્રસિંહના ઘરે પહોંચી તેમને બંધક બનાવી ઘરમાંથી રોકડ રકમ, સોના ચાંદીના ઘરેણાં અને રાઇફલની લૂંટ ચલાવી ચોરી કરેલ બાઈક મારફત અમદાવાદ હાઇવે સુધી પહોંચ્યા હતા અને ત્યાં અગાઉથી બોલેરો લઈને ઉભેલા દિનેશ અને સેતાન સાથ તમામ આરોપીઓ લૂંટનો મુદામાલ સાથે લઇ નાસી છૂટ્યા હતા અને ચોરી કરેલા બાઈક ત્યાં છોડી દીધા હતા જે બાદ ભાગબટાઈ કરી જેની જેટલી મેહનત એ મુજબ મુદામાલનો ભાગ પાડી દીધો હતો.

હાલ ત્રણ આરોપીઓની આજ રોજ ધરપકડ કર્યા બાદ ત્રણેય આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળ રિકંસ્ટ્રક્શન પંચનામુ કરી અલગ અલગ દિશામાં પુછપરછ હાથ ધરવામાં આવશે. ત્યારે આ ચકચારી રાજવી પરિવારના ઘરમાં થયેલ લૂંટમાં શું નવા ખુલાસા થશે અને મુખ્ય આરોપીઓ સહીત ફરાર આરોપીઓને ઝડપી મુદામાલ રિકવર કરવામાં પોલીસને ક્યારે સફળતા મળશે તે જોવું મહત્વનું રહેશે.
પુત્રને પેટ્રોલપંપ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો ધંધો લૂંટનો ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ જાડેજાને શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ છે અને રીયલ એસ્ટેટના ધંધામાં પણ મોટુ નામ ધરાવે છે. જમીન વેંચાણનું કામ ચાલુ હોવાથી જીતેન્દ્રસિંહ જાડેજા શાપરના આ ઘરે જ એકલા રહેતાં હતાં. તેમના દીકરા સહિતના બીજા પરિવારજનો રાજકોટ રહે છે. જીતેન્દ્રસિંહના ધર્મપત્નીને પણ પગમાં ઓપરેશન હોઇ કેટલાક દિવસથી તેઓ રાજકોટ હતાં. રાતે જીતેન્દ્રસિંહ એકલા જ અહીં હતાં.

રેકી કર્યા બાદ ઘટનાએ અંજામ આપ્યો આ સમગ્ર બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જાણેભેદુઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. તેમના પુત્ર દ્વારા હાલમાં જ શાપરની બીનખેતીની જમીનનું વેંચાણ ચાલુ કરવામાં આવ્યું હોઇ તેની રકમ આવે તે શાપર ખાતેના ઘરમાં જ રાખવામાં આવતી હતી. જે રકમની લૂંટ થઇ તે જમીન વેંચાણની જ હતી. જમીન વેંચાણની મોટી રકમ શાપરના આ ઘરમાં જ હોવાની અને વૃદ્ધ એકલા જ અહીં હોવાની વિગતોથી લૂંટારા વાકેફ હતા.