ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો:રાજસ્થાન ટુરિઝમમાં ચેરમેન બનાવવાના નામે લીધેલા પૈસા પાછા આપવા ના પડે એટલે છરી મારી કારમાં તોડફોડ કરી હતી
રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે(29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અંદાજિત 2 મહિના પહેલાં ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. હવે ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો છે.
રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાનું કહીને છેતરપિંડી ઈન્ફોસિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, એપ્રિલ 2025માં ફરિયાદી ઉત્સવ પટેલના પિતાના મિત્ર મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાની વાત કહીને ગાંધીનગર સેક્ટર-9 ખાતે રોકડા રૂપિયા 15 લાખ લીધા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં પોતાના સારા સંપર્કો હોવાનો દાવો કરતા ઉત્સવના પિતાએ તેમના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ચેરમેન બનાવવાની વાત કરી હતી. આ કામ પેટે મહેન્દ્રસિંહ અને તેમના દીકરા અભિમન્યુસિંહે એડવાન્સ રૂપિયા 50 લાખની માંગણી કરતા જાન્યુઆરી 2026માં સેક્ટર-2 ખાતે નાણાં ચૂકવાયા હતા.
સમાધાન કરવા કુડાસણ બોલાવ્યા ત્યારબાદ બેંક ખાતામાં અને અન્ય રીતે મળીને કુલ રૂપિયા 1 કરોડ 10 લાખ આપ્યા હોવા છતાં કામ થયું નહોતું. આ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવા છતાં કામ ન થતાં ગત 17 મેના રોજ કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.આ જૂની અદાવત અને નાણાકીય વિવાદનું સમાધાન કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને ફોન કરીને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા તેમના આરહા ફિટનેસ જીમ ખાતે બોલાવ્યા હતા.
આરોપીઓએ હુમલો કર્યો જ્યાં ઉત્સવ, તેના પિતા રોહિતકુમાર, ભરતસિંહ અને અન્ય મિત્રો ત્યાં હાજર હતા તે જ સમયે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેનો દીકરો અભિમન્યુસિંહ રાઠોડ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બીજા દસેક માણસોને ટુ-વ્હીલર પર હથિયારો સાથે લઈને ધસી આવ્યા હતા. આ ટોળાના હાથમાં છરી, ધારીયા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો હતા. બાદમાં કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને તમારા રૂપિયા આપી દઈએ તેમ કહીને આરોપીઓએ એકસંપ થઈ હુમલો કરી દીધો હતો.
છરીના ઘા માર્યા અને ગાડીમાં તોડફોડ જેમાં મહેન્દ્રસિંહે પોતાની પાસેની છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા પર ઘા માર્યા હતા અને તે જ સમયે અભિમન્યુસિંહ રાઠોડે ભરતસિંહના બરડાના ભાગે છરી હુલાવી દીધી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઘવાઈને નીચે ઢળી પડ્યા હતા. ફરિયાદી ઉત્સવ વચ્ચે પડતા આરોપી સુનિલ ચૌહાણ, લાલભાઈ અને અભિમન્યુએ મળીને તેને પણ બરડા, હાથ-પગ અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત, અન્ય શખસોએ લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી ફરિયાદીની વોક્સવેગન કારની પણ ધોકા વડે ભારે તોડફોડ કરી હતી.
આરોપીઓએ હુમલો કર્યો જ્યાં ઉત્સવ, તેના પિતા રોહિતકુમાર, ભરતસિંહ અને અન્ય મિત્રો ત્યાં હાજર હતા તે જ સમયે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેનો દીકરો અભિમન્યુસિંહ રાઠોડ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બીજા દસેક માણસોને ટુ-વ્હીલર પર હથિયારો સાથે લઈને ધસી આવ્યા હતા. આ ટોળાના હાથમાં છરી, ધારીયા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો હતા. બાદમાં કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને તમારા રૂપિયા આપી દઈએ તેમ કહીને આરોપીઓએ એકસંપ થઈ હુમલો કરી દીધો હતો.