Loading...

અમદાવાદ: ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે રાત્રે બ્રેઝાચાલકે બે યુવકને 100 ફૂટ ફંગોળ્યા

અમદાવાદ શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત થયો હતો. એક્ટિવા પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને બ્રેઝાએ પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક અને તેની પાછળ બેઠેલો યુવક 100 ફૂટ સુધી ફંગોળાયા હતા. અકસ્માતમાં બંને યુવકનાં મોત થયાં છે. કારચાલક હાલ ફરાર થઈ ગયો છે. પોલીસે અકસ્માત મામલે ગુનો નોंધી તપાસ હાથ ધરી છે.

એક્ટિવા BRTS રેલિંગમાં ઘૂસી ગયું 

બન્ને મિત્ર અશફાક અજમેરી (ઉં.વ.22 રહે જમાલપુર) અને અકરમ કુરેશી(ઉં.વ. 35 રહે જમાલપુર) એક્ટિવા(GJ01PX 9355)માં નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાતના 1.30 વાગ્યે બ્રેઝા(GJ27DM 9702) ચાલકે એટલી જોરથી ટક્કર મારી કે એક્ટિવા BRTS રેલિંગમાં ઘૂસી ગયું હતું, જેમાં અકરમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અશફાક અજમેરીને સોલા સિવિલમાં ફરજ પરના ડોક્ટરે 5:20 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

બ્રેઝા કબજે લેવાઈ, ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો 

આ બનાવની જાણ થતાં N ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે બ્રેઝા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ બ્રેઝા કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

9 ઓગસ્ટે 3 અકસ્માતમાં 2નાં મોત થયાં 

9 ઓગસ્ટની ગત મોડીરાતથી 10 ઓગસ્ટની સવાર સુધીમાં શહેરમાં અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા હતા, જેમાં એક રાજેન્દ્ર નામના યુવકનું મોત થયું છે. રિવરફ્રન્ટ પર ચાલતા જઈ રહેલા યુવકને બાઇકચાલકે ટક્કર મારતાં યુવકને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. વ્યાસવાડી પાસે પણ કારચાલકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પાલડીમાં કારચાલકે ટૂ-વ્હીલર ચાલકને ટક્કર મારતાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું 11 ઓગસ્ટે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.