AMCની એસ્ટેટ વિભાગની ટીમ પર જશોદાનગરમાં હુમલો:દુકાનનું ડિમોલિશન કરવા પહોંચતા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો
અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને એક વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારજનો પણ આપઘાત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બાદમાં સ્થાનિકોએ એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો કરતા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન સ્થાનિક વેપારીઓએ ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે સ્થાનિક વેપારીઓ જવાબદાર અધિકારી વિરુદ્ધ વટવા GIDCમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.
‘મોટા અધિકારીઓ પૈસા માંગે છે, અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે અમારી પાસેથી લાંચ લીધી છે’સ્થાનિક વેપારીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમે ભાજપને મત આપીને કોંગ્રેસના ગઢને ભાજપનો ગઢ બનાવ્યો છે. હવે તમે વેપારીઓને ડિમોલિશનના નામે હેરાન કરો છો. બે-બે લાખ રૂપિયા માંગો છો. મોટા-મોટા અધિકારીઓ પૈસા માંગે છે. ખુલ્લેઆમ અમે કહીએ છીએ કે તમે અમારી પાસેથી લાંચ લીધી છે. બે-બે વખત પૈસા લઈ ગયા છો પછી પણ તમે તોડવા માટે આવ્યા છો. મોટી મોટી બિલ્ડીંગ બની રહી છે. જાવ બે નંબરના ધંધા પહેલા બંધ કરાવો. ગરીબ વેપારી બિચારો પૈસા ક્યાંથી લાવશે. આજે એક વેપારીની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વેપારી એસોસિયેશન તમામ વેપારીની સાથે છે અને જ્યાં સુધી વેપારીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. આજથી આખું જશોદાનગર વેપારીની સાથે છે.
દુકાન વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી થઈ હતી: ભાજપ કોર્પોરેટર
રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટર મૌલિક પટેલે જણાવ્યું હતું કે શહેરના જશોદાનગરથી બોમ્બે કંડક્ટર તરફ જવાના રોડ ઉપર એક દુકાન આવેલી છે, જે દુકાન વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી થઈ હતી. આગળ દુકાન આવેલી છે અને પાછળ મકાન આવેલું છે. અગાઉ આ દુકાન મામલે વેપારી એસોસિયેશન દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ ફરી કોઈ વિવાદ થયો હતો. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ડિમોલિશન માટે આવી હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી. જે દુકાનને લઈને વિવાદ હતો તેનું મ્યુનિસિપલ કોર્પોરેશન ડિમોલિશન કરવા માટેની પ્રક્રિયા કરવા આવી હતી. એસ્ટેટ વિભાગની ટીમ ત્યાં પહોંચી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાએ કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલા હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે.
