Loading...

કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ:બનાસકાંઠામાં જળબંબાકારથી ખેતરો બેટમાં ફેરવાયાં

હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 12થી 20 ઈંચ સુધીનો અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મહીસાગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા અને સાબરકાંઠા યલો એલર્ટ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જોકે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. તો બીજી તરફ માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી તેમને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ડીપ ડિપ્રેશનને કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોર્ટ વોર્નિંગ એલસીએસ 3 (LCS3) પણ જાહેર કરવામાં આવ્યું છે.

સરેરાશ કરતાં વધુ વરસાદ
 
સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છના રાપરમાં 3.78 ઈંચ તો સૌથી ઓછો પંચમહાલના હાલોલમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં 16.14 ઈંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. 8 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુઘીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 37.13 ટકા, એટલે કે 106.94 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ વરસાદની સામે 27% વધુ વરસાદ નોંધાયો છે.

નડાબેટનું સૂકુંભટ રણ ઘૂઘવતા દરિયામાં ફેરવાયું

બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. સમગ્ર પંથકનું તમામ પાણી નડાબેટ રણ વિસ્તારમાં સમાતાં અહીં રણમાં દરિયાનાં મોજાં ઊછળતાં હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે. નડાબેટ ટૂરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.

રણમાં ભરાયેલાં વરસાદી પાણી દરિયાનાં મોજાઓની જેમ રસ્તા પર ઊછળતાં અદભુત દૃશ્યો માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સામાન્ય રીતે સૂકો રહેતો રણપ્રદેશ ભારે વરસાદને કારણે જળબંબાકાર બની ગયો છે. પાણીની લહેરો અને પવનને કારણે આ વિસ્તાર દરિયાકિનારા જેવો લાગી રહ્યો છે.