Loading...

આજે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે: સાત મહિનામાં પાંચમી મુલાકાત

જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જૂનાગઢ આવશે. અહીં તેઓ 41 જિલ્લા-મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન આપશે. બપોરે 1.15 વાગ્યે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે. જે બાદ બપોરે 2.30 વાગ્યે તેઓ જુનાગઢ પહોંચશે. જ્યાંથી તેઓ સીધા રોડમાર્ગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પર પહોંચશે. આ પહેલા કાળવા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાશે. રાહુલ ગાંધીના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જુનાગઢથી પોરબંદર જવા રાહુલ ગાંધી રવાના થશે.

2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપનાર રાહુલ ગાંધીની છેલ્લા સાત મહિનામાં આ પાંચમી મુલાકાત છે. 26 જુલાઈએ આણંદમાં યોજાયેલી શિબિરમાં છેલ્લે હાજરી આપી હતી.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો. બીજા દિવસે પ્રો. હેમંતકુમાર શાહ દ્વારા અર્થશાસ્ત્ર બાબતે પ્રમુખોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. હવે આજે ત્રીજા દિવસે રાહુલ ગાંદી શહેર-જિલ્લા પ્રમુખોને સંબોધશે.

ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સક્રીયતાના કારણે કોંગ્રેસ ભાજપ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી પણ ગુજરાતામાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ 2027ની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ સંગઠનનું નવસર્જન કરાયું. હવે આ તમામ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.