હુમલાકેસમાં દેવાયત ખવડના રિમાન્ડ પૂર્ણ:તાલાલા કોર્ટે દેવાયત ખવડ અને સાથીઓની જામીન અરજી ફગાવી
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીઓ માટે આજે એક મહત્ત્વપૂર્ણ દિવસ હતો. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલાના કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને તલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા અને સાથે આરોપીઓની જામીન અરજી પણ નકારીને તમામને જૂનગાઢ જેલમાં મોકલ્યા છે.
કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા, જામીન અરજી પણ નકારી
તલાલા કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે આરોપીઓના રિમાન્ડની અવધિ વધારવા માટે અરજી કરી ન હતી. બીજી બાજુ દેવાયત ખવડે કરેલી જામીન અરજી નકારી કોર્ટે દેવાયત ખવડ અને તેમના અન્ય તમામ સાથી આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે આ કેસમાં કાયદેસરની આગળની કાર્યવાહી જેલમાંથી જ ચાલશે.
આવતીકાલે વેરાવળ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થશે : સરકારી વકીલ
સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કહ્યું હતું કે દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે રિમાન્ડ આજે સવારે 11 વાગ્યે પૂર્ણ થતાં તેને તાલાલાની કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરાયેલા અને રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતી હોવાથી નામદાર તાલાલાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવા માટેનો, એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. તેમની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ કરાઈ હોવાનું પણ અમને જે-તે કોર્ટ તરફથી નોટિસ બજાવેલી છે. આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ 18મીના હાથ ધરાશે અને ત્યાર બાદ નામદાર કોર્ટ એ સંબંધેની આ જામીન અરજીનો નિર્ણય કરશે.
કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
ગત 11 સપ્ટેમ્બરે વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા હતા. વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા બાદ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તાલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી, આથી દેવાયત ખવડ અને સાથી આરોપીઓને આજે 17 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા અગાઉ આપેલા જામીનને પડકારવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ અને અન્ય સાત આરોપી વિરુદ્ધ હુમલાના કેસમાં તાલાલા પોલીસે ગત તારીખ 18/8/25ના રોજ દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે એને નામંજૂર કરી દીધી હતી. આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ પણ આપ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માગ થઈ રહી હતી, જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો. આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ.જાની સમક્ષ બંને પક્ષ વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે 9:45 કલાકે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ નામંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ, જેમાં દેવાયત ખવડ સહિત 7 લોકોને જામીન મંજૂર કર્યા હતા, જોકે પોલીસ દ્વારા આ જામીનને પડકારવામાં આવ્યા હતા.
તાલાલા પોલીસે કરેલી રિવિઝન અરજીની સુનાવણીમાં કોર્ટે ગત 11 સપ્ટેમ્બરે વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા હતા અને ખવડ સહિતના આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
11 સપ્ટેમ્બરની મધરાતે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું
ડાયરા-કલાકાર દેવાયત ખવડ અને તેના 6 સાગરીતે 11 સપ્ટેમ્બરની મધરાતે 2 વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ સમક્ષ હાજર થતા સમયે દેવાયત ખવડે પોલીસ સાથે હેન્ડશેક કર્યું હતું અને ત્યાર બાદ તે ગળે મળવા જતાં સ્થિતિ પારખી ગયેલા પોલીસકર્મીએ હાથથી ધક્કો મારીને તેને દૂર કર્યો હતો.
દેવાયત સામે હત્યાની કોશિશ સહિતના 5 ગુના
આરોપીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.
