Loading...

ઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યાં, CCTV:અમદાવાદમાં બ્યૂટિપાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતાં મચી દોડધામ, પત્ની-સાસુને ખસેડાયાં સિવિલ હોસ્પિટલ

અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેની બ્યૂટિપાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. લોકો ત્યાં પહોંચતાં જાણ થઈ હતી કે પતિએ જ પત્ની અને સાસુને જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવ્યાં છે. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ તો સમગ્ર મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી છે.


પત્ની અને સાસુને આગ લગાવી પતિ ભાગી ગયો હતો

કુબેરનગરમાં રહેતી અને બ્યૂટિપાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલી રહી હતી. મંગળવાર(23 સપ્ટેમ્બર)ની રાત્રે અશોક પત્નીના બ્યૂટિપાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે પાર્લરમાં હાજર તેનાં સાસુ વચ્ચે પડતાં ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન અશોક જવલનશીલ પદાર્થ લઈને પત્ની અને સાસુ પર નાખીને આગ ચાંપીને ફરાર થઇ ગયો હતો. થોડીવારમાં જ બૂમાબૂમ થતાં કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના રાહદારીઓ એકઠા થઇ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ સળગી રહેલાં માતા-પુત્રી પર પાણીનો મારો ચલાવીને આગને ઓલવી નાખીને માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાં હતાં.

આરોપીની કરાઈ ધરપકડ

બીજી તરફ બનાવ અંગેની જાણ પોલીસને થતાં સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે પતિએ ઘરકંકાસમાં પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંને બચી ગયાં છે અને હાલ સારવાર હેઠળ છે. આરોપી અશોકની પોલીસે ધરપકડ કરી છે.

Image Gallery