ધોલેરા હાઈવે પર બે બસનો ગમખ્વાર અકસ્માત:10 ઘાયલ, 3ની હાલત ગંભીર
ધોલેરા-ભાવનગર હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે (5 ઓક્ટોબર) સવારે ફરી એકવાર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
બંને લકઝરીની ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બંને લકઝરી બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી
મળતી માહિતી મુજબ, નટરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર તરફ જતી નટરાજ ટ્રાવેલ્સ વળાંક લઈ રહી હતી ત્યારે, પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. બંને લકઝરી બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી.
દુર્ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 3ની હાલત ગંભીર
આ દુર્ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 3ની હાલત ગંભીર છે. નટરાજ ટ્રાવેલ્સની બસ રોડ પર પલટી ખાઇ ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ટ્રાવેલ્સનો કંડકટર સાઇડનો આગળનો ભાગ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
