Loading...

બિહાર ચૂંટણી પહેલા લાલુ-રાબડી, તેજસ્વીની વધી મુશ્કેલીઓ, IRCTC કૌભાંડમાં આરોપો થયાં સાબિત

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં IRCTC કૌભાંડની સુનાવણી ચાલી રહી છે. લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી વિરુદ્ધ આરોપો ઘડવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું, "ટેન્ડર કૌભાંડનું સમગ્ર કાવતરું લાલુ યાદવની જાણકારીથી ઘડવામાં આવ્યું હતું. ટેન્ડરમાં તેમની સંડોવણી હતી."

કોર્ટે લાલુ યાદવને પૂછ્યું, "શું તમે આરોપો સ્વીકારો છો? દોષિત માનો છો? કે પછી તમારે ટ્રાયલનો સામનો કરશો"

લાલુ યાદવે કહ્યું- 'બધા આરોપો ખોટા છે.'

25 ઓગસ્ટ, 2025 ના રોજ લેન્ડ ફોર જોબ્સ કેસની છેલ્લી સુનાવણીમાં, કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી અને પુરાવાઓની સમીક્ષા કર્યા પછી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

હવે જાણો શું છે IRCTC કૌભાંડ

આ કેસ 2004 થી 2009ના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. CBIનો આરોપ છે કે આ દરમિયાન, બે IRCTC હોટલ (રાંચી અને પુરીમાં) માટે જાળવણીનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સ નામની ખાનગી કંપનીને ખોટી રીતે આપવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીનો દાવો છે કે લાલુ પરિવારને આ સોદાના બદલામાં પટનામાં કિંમતી જમીન મળી હતી. લાલુ પરિવાર ઉપરાંત, તત્કાલીન IRCTC ગ્રુપના જનરલ મેનેજર વીકે અસ્થાના, આરકે ગોયલ અને સુજાતા હોટેલ્સના ડિરેક્ટર વિજય અને વિનય કોચર પણ આ કેસમાં આરોપી છે.

CBIના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે પુરી અને રાંચીમાં રેલવેની BNR હોટલને IRCTCને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાળવણી અને સુધારો કરવા માટે તેમને ભાડે આપવાની યોજના હતી.

આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર વિનય કોચરની કંપની, મેસર્સ સુજાતા હોટેલ્સને આપવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરવામાં આવ્યા હતા. તત્કાલીન IRCTCના MD, પીકે ગોયલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

17 જુલાઈ, 2017ના રોજ, CBIએ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. વિનય કોચર અને અન્ય આરોપીઓના 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

હવે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ વિશે જાણો

CBIનું કહેવું છે કે આખું કાવતરું 2004 થી 2009ની વચ્ચે ઘડાયું હતું, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ દરમિયાન, લગભગ તમામ કેસોમાં, નોકરી આપતા પહેલા જ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી અને મોટાભાગના કેસોમાં, ગિફ્ટ ડીડ તૈયાર કરવામાં આવ્યા હતા.

CBIએ ચાર્જશીટમાં એવો પણ દાવો કર્યો છે કે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે તેમના નજીકના સહાયક ભલ્લા યાદવે ગામમાં જઈને કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યોને નોકરી અપાવવાના બદલામાં, તેઓ પોત-પોતાની જમીન લાલુ પરિવારના નામે ટ્રાન્સફર કરે. લાલુ પરિવારના નામે જમીન ટ્રાન્સફર કરનારા તમામ આરોપીઓએ દાવો કર્યો છે કે તેમને લાલુ પરિવાર દ્વારા રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી.