Loading...

વધુ એક BLO ઢળી પડ્યા, 4 દિવસમાં 4નાં મોત:વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, હાર્ટ-એટેકની આશંકા; પતિએ કહ્યું- 'તેમના પર કામનું ભારણ હતું'

ફરજ પર હતાં ત્યારે અચાનક ઢળી પડ્યાં મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) છે, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

મૂળ નર્મદા જિલ્લાનાં વતની ઉષાબેનને હાર્ટ-એટેકની આશંકા મળતી માહિતી મુજબ, ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાનાં વતની હતાં અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં હતાં. હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું, પરંતુ હાલમાં હાર્ટ-એટેકની આશંકા છે. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

'તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી' આ અંગે મૃતક મહિલા ઉષાબેનના પતિ ઇન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમે સુભાનપુરા વિસ્તારમાં પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં રહીએ છીએ અને મારી પત્ની મહિલા ગોરવા આઈટીઆઈમાં નોકરી કરે છે. તેઓ BLO સહાયક તરીકે કામગીરી કરતાં હતાં. તેમને તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. તેઓ આજે શહેરના કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં.

કામનો લોડ, અચાનક બેહોશ ને મોત તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કામગીરી દરમિયાન સુપરવાઇઝરની રાહ જોઈને બેઠાં હતાં. એ દરમિયાન અચાનક બેહોશ થઈ ગયાં હતાં અને એટેક આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.

'કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો નહોતો' વડોદરાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી સહાયક BLO તરીકે ફરજ બજાવતા હતાં.મૃતક ઉષાબેન સોલંકી હૃદયરોગના દર્દી હતાં અને તેઓ મૂળ નર્મદાના તિલકવાડાના વતની હતા. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ઉષાબેનને તેમની ફરજ દરમિયાન કોઈ દબાણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો નહોતો અને તેમની તરફથી ફરજમુક્તિ માટેની કે અન્ય કોઈ ફરિયાદ પણ આવી નહોતી. કલેક્ટરે જણાવ્યું હતું કે અચાનક ઢળી પડવાને કારણે તેમનું અવસાન થયું છે અને ઘરમાં પણ કામ કરતી વખતે તેઓ પડી જતા હતાં તેવી વિગતો આચાર્ય મારફતે મેળવવામાં આવી છે.

ચાર કર્મચારીનાં ચાર દિવસમાં મોત SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે બીએલઓની કામગીરી કરી રહેલા ચાર કર્મચારીનાં ચાર દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું છે. આ ઘટનાઓના પગલે શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ પહેલાં ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું અને આજે વડોદરામાં BLO સહાયકનું કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું છે. તેમને પણ હાર્ટ-એટેક આવ્યો હોવાની આશંકા છે. આ તરફ અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે.

SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો: સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક-તણાવ અનુભવું છું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે

Image Gallery