આણંદમાં દેશના ખૂણેખૂણેથી મહેમાનો ઊમટ્યા:કરમસદથી કેવડિયા સુધી 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પણ ઉપસ્થિત
રાષ્ટ્રીય એકતા યાત્રા' 152 કિમીનું અંતર કાપી કેવડિયા જશે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા છે. બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે.
મહેમાનોએ સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી કાર્યક્રમની શરૂઆત પહેલાં વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. જે બાદ મહેમાનો આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા છે. અહીંથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ વર્ચુઅલ્લી રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યુ છે.. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે.
સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ
દેશના મહાન શિલ્પી સરદાર પટેલની 150મી જન્મજયંતિના આ અવસરે, તેમની વિરાસતને યાદ કરીને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા રાષ્ટ્રીય ભાવના અને એકતાના પ્રતીક રૂપે ઊભરી આવશે. કરમસદથી કેવડિયા સુધીની આ યાત્રા દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ છે.
