Loading...

અષાઢી પૂનમે અંબાજીમાં ભક્તોનો મહેરામણ:વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઇનો

શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

તો બીજી તરફ ગિરનાર પર્વતના પાવનકારી ખોળે આવેલા ભવનાથ ક્ષેત્રમાં પણ આજે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. પરંપરા મુજબ, આ પવિત્ર પર્વ અહીં અત્યંત ધામધૂમથી ઊજવાય છે, જ્યાં હજારોની સંખ્યામાં શિષ્યો પોતાના ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરવા ઊમટી પડ્યા હતા.

'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી પરિસર ગુંજી ઊઠ્યો ​​​​

મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃકાળે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો. 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યો હતો. અંબાજી મંદિરમાં વિશેષ આરતી ક્રમ અનુસરવામાં આવે છે.

મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું 

અંબાજી મંદિરમાં શક્તિ દ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંદિરને આ ખાસ અવસર માટે રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આજે સૌપ્રથમ ગણપતિબાપાની આરતી થઈ, ત્યાર બાદ મા અંબાજીની મંગળા આરતી યોજાય હતી. મંગળા આરતી પછી મહાદેવની આરતી કરવામાં આવે છે. આમ, શક્તિની આરાધના બાદ શિવની આરાધના કરવામાં આવે છે.

અષાઢી પૂનમે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ 

દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શને આવે છે. આજે ખાસ ગુરુપૂર્ણિમાના વિશેષ દિવસે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો. ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તો મંદિરમાં દર્શન કર્યાં બાદ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ખાતે પણ દર્શન કરવા જાય છે. આ રીતે અષાઢી પૂનમના દિવસે અંબાજી મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું છે.

ભવનાથ ક્ષેત્રમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી 

ગિરનાર પર્વતના પાવનકારી ખોળે આવેલા ભવનાથ ક્ષેત્રમાં આજે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભવનાથના મુખ્ય આશ્રમો, જેવા કે ગૌરક્ષનાથ આશ્રમ, ભારતી આશ્રમ, રુદ્રેશ્વર જાગીર, મહાદેવપથ ભારતી આશ્રમ સહિત અનેક સ્થળોએ આસ્થા અને વિશ્વાસના વાતાવરણમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ. શિષ્યોએ ભાવપૂર્વક ગુરુનાં ચરણોમાં ફૂલ, નાળિયેર, ફળ અને દક્ષિણા અર્પણ કરીને વંદના કરી હતી. ગુરુઓએ પણ પોતાના શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપીને આશીર્વાદ વરસાવ્યા હતા.

રુદ્રાભિષેક, ગુરુવારણ, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન 

આ પવિત્ર દિવસે આશ્રમોમાં રુદ્રાભિષેક, ગુરુવારણ, યજ્ઞ, ભજન અને સત્સંગ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમોના સમાપન બાદ હજારો ભક્તો અને શિષ્યોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતા આ પર્વે ભવનાથ ક્ષેત્રને ભક્તિમય બનાવી દીધું હતું.